IPL 2026 playoff scenarios: IPL 2026 હવે તેના અંતિમ અને સૌથી રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. લીગ સ્ટેજની હવે માત્ર 3 જ મેચ બાકી છે, ત્યારે પ્લેઓફનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. પોઈન્ટ ટેબલમાં ટોપ 2 માં રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે પ્રથમ ક્વોલિફાયર રમાશે, જ્યારે ત્રીજા સ્થાને રહેલી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમ એલિમિનેટરમાં પહોંચી ચૂકી છે. 26 મેથી પ્લેઓફની શરૂઆત થશે અને 31 મેના રોજ ફાઇનલ રમાશે. પરંતુ ખરી મજા હવે શરૂ થઈ છે! પ્લેઓફમાં માત્ર 1 જ સ્થાન ખાલી છે અને તેના માટે રાજસ્થાન રોયલ્સ, પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ એમ 4 ટીમો વચ્ચે જબરદસ્ત ફાઈટ ચાલી રહી છે. તો ચાલો જાણીએ કે આ ચોથા સ્થાન માટે કઈ ટીમનો રસ્તો કેટલો સરળ કે મુશ્કેલ છે.
રાજસ્થાન રોયલ્સ (RR)
પ્લેઓફમાં પહોંચવા માટે રાજસ્થાનનો રસ્તો સૌથી સરળ છે. તેમણે 24 મેના રોજ મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ માત્ર જીતવાની જ છે. જો તેઓ 1 રનથી પણ જીતી જશે તો તેમના 16 પોઈન્ટ થઈ જશે અને તેઓ સીધા ક્વોલિફાય થઈ જશે. બાકીની ત્રણમાંથી કોઈ ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચી શકે તેમ નથી. જો રાજસ્થાન હારી જાય તો પણ તે બહાર નહીં ફેંકાય, પરંતુ તેના માટે લખનૌએ પંજાબને હરાવવું પડશે અને દિલ્હીએ KKR સામે એવી જીત મેળવવી પડશે કે તેમનો નેટ રનરેટ રાજસ્થાન કરતા ન વધી જાય.
પંજાબ કિંગ્સ (PBKS)
પંજાબ કિંગ્સ માટે સમીકરણ થોડું અટપટું છે. સૌથી પહેલા તો તેમણે લખનૌ સુપર જાયન્ટ્સને મોટા માર્જિનથી હરાવવું પડશે. આટલું કર્યા પછી શ્રેયસ ઐયર અને તેની ટીમે પ્રાર્થના કરવી પડશે કે રાજસ્થાન રોયલ્સ પોતાની છેલ્લી મેચ હારી જાય. માત્ર આટલાથી પણ પંજાબનું કામ નહીં થાય, તેમણે દિલ્હી કેપિટલ્સ KKR ને હરાવે તેવી આશા પણ રાખવી પડશે.
આ પણ વાંચોઃ BCCI નો મોટો નિર્ણય, ભારતની આ મોટી ટુર્નામેન્ટ હવે T20 ફોર્મેટમાં રમાશે
કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)
કોલકાતાએ સૌથી પહેલા તો દિલ્હી કેપિટલ્સ સામે મોટી જીત મેળવવી પડશે, જેથી તેઓ 15 પોઈન્ટ સુધી પહોંચી શકે. પંજાબ પણ લખનૌને હરાવીને 15 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, તેથી KKR એ ધ્યાન રાખવું પડશે કે જો પોઈન્ટ સરખા થાય, તો તેમનો નેટ રનરેટ પંજાબ કરતા સારો રહે. આ ઉપરાંત, મુંબઈ ઈન્ડિયન્સ સામે રાજસ્થાન રોયલ્સની હાર પણ કોલકાતા માટે ખૂબ જ જરૂરી બની રહેશે.
દિલ્હી કેપિટલ્સ (DC)
પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હીનો રસ્તો સૌથી કાંટાળો અને મુશ્કેલ છે. KKR ને હરાવવાથી તેમને 14 પોઈન્ટ તો મળશે, પણ તેમનો નેટ રનરેટ ખૂબ જ ખરાબ (-0.871) છે, જેને પોઝિટિવ કરવો જરૂરી છે. KKR ને હરાવ્યા પછી દિલ્હીએ એવી પણ આશા રાખવી પડશે કે રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ બંને પોતપોતાની છેલ્લી મેચ હારી જાય.
આ પણ વાંચોઃ IPL ઇતિહાસમાં ₹230 કરોડ કમાઈને આ ખેલાડી બન્યો નંબર 1! રોહિત-ધોની પણ પાછળ
