KKR vs SRH Highlights 2026: IPL 2026ની શાનદાર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 7 વિકેટે હરાવીને જીતની શાનદાર હેટ્રિક ફટકારી છે. નવાઈની વાત એ છે કે, જે કોલકાતાની ટીમ શરૂઆતની 6 મેચોમાં એકપણ જીત નોંધાવી શકી ન હતી, તેણે હવે સળંગ 3 જીત મેળવી લીધી છે. હૈદરાબાદના 165 રનના લક્ષ્યનો પીછો કરતા અંગક્રિશ રઘુવંશી (59 રન) અને કેપ્ટન અજિંક્ય રહાણે વચ્ચેની 84 રનની ભાગીદારીએ કોલકાતાને આસાન જીત અપાવી હતી. આ મેચમાં સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપીને IPL માં પોતાની 200 વિકેટ પૂરી કરીને નવો ઈતિહાસ રચ્યો છે, જ્યારે સળંગ 5 મેચ જીતી ચૂકેલી હૈદરાબાદની ટીમ 6ઠ્ઠી મેચ જીતવામાં નિષ્ફળ રહી છે.

Continues below advertisement

હૈદરાબાદના બેટિંગ ઓર્ડરનું પતન અને KKR ની મજબૂત ભાગીદારી

હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, સનરાઈઝર્સ હૈદરાબાદે પહેલા બેટિંગ કરતા 165 રન બનાવ્યા હતા. ટીમની શરૂઆત સારી રહી હોવા છતાં, તેમનો બેટિંગ ઓર્ડર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયો હતો. સ્થિતિ એ હતી કે હૈદરાબાદે પોતાની છેલ્લી 9 વિકેટ માત્ર 60 રનની અંદર જ ગુમાવી દીધી હતી.

Continues below advertisement

જવાબમાં, ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી KKR માટે અંગક્રિશ રઘુવંશી અને કેપ્ટન અજિંક્ય રહાણેએ શાનદાર બેટિંગ કરી. રહાણે ભલે પોતાની અડધી સદી ચૂકી ગયો, પણ આ બંને વચ્ચે થયેલી 84 રનની મજબૂત ભાગીદારીએ કોલકાતા માટે જીતનો પાયો નાખ્યો હતો. અંતિમ ઓવરોમાં રિંકુ સિંહે માત્ર 11 બોલમાં 22 રનની ધમાકેદાર ઇનિંગ રમીને કોલકાતાને શાનદાર જીત અપાવી હતી.

IPL 2027 માં આ 3 મોટી ટીમોના બદલાશે કેપ્ટન? સતત ખરાબ પ્રદર્શનથી મેનેજમેન્ટ ટેન્શનમાં!

સુનિલ નારાયણે રચ્યો ઐતિહાસિક રેકોર્ડ

કોલકાતાની આ શાનદાર જીત વચ્ચે તેના સ્ટાર બોલર સુનિલ નારાયણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં 2 વિકેટ લેતાની સાથે જ નારાયણ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં 200 વિકેટનો આંકડો પાર કરનાર પ્રથમ વિદેશી બોલર બની ગયો છે. અત્યાર સુધીમાં રમાયેલી 197 મેચમાં તેના નામે કુલ 201 વિકેટ થઈ ગઈ છે. IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે હવે માત્ર બે જ બોલરો તેનાથી આગળ છે - યુઝવેન્દ્ર ચહલ (228 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (215 વિકેટ).

SRH નું જીતનો 'છગ્ગો' લગાવવાનું સપનું તૂટ્યું

સનરાઈઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો, આ સિઝનની શરૂઆતમાં તેમની હાલત ખરાબ હતી. પ્રથમ 4 મેચમાંથી 3 મેચ હાર્યા બાદ, આ ટીમે જોરદાર વાપસી કરી હતી અને સળંગ 5 મેચોમાં જીત નોંધાવી હતી. ચાહકોને આશા હતી કે આજે કોલકાતા સામે જીતીને હૈદરાબાદ જીતનો 'છગ્ગો' લગાવશે અને પ્લેઓફની વધુ નજીક પહોંચી જશે. પરંતુ, કોલકાતાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર ટીમવર્ક બતાવીને હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ પર જ તેમના સળંગ જીતના રથને રોકી દીધો હતો.

MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી