Shreyas Iyer Punjab Kings captain: પંજાબ કિંગ્સે IPL 2025ની શરૂઆત પહેલાં એક મોટો નિર્ણય લીધો છે. ટીમે શ્રેયસ ઐયરને ટીમનો નવો કપ્તાન બનાવ્યો છે. આ જાહેરાત રવિવારે રાત્રે કરવામાં આવી હતી. અગાઉ ઐયર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમનો ભાગ હતો. ઐયર એક અનુભવી ખેલાડી અને કુશળ કપ્તાન છે. તેની સાથે જ પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગને પણ મહત્વની જવાબદારી સોંપી છે. પોન્ટિંગ હવે ટીમના મુખ્ય કોચ તરીકે સેવા આપશે.
પંજાબ કિંગ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો શેર કરીને ઐયરને કપ્તાન બનાવવાની માહિતી આપી હતી. ઐયરે કપ્તાન બનવા બદલ ટીમ અને ચાહકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું, "મને ખૂબ સારું લાગી રહ્યું છે. મારામાં વિશ્વાસ મૂકવા બદલ હું ટીમના માલિકો અને કોચનો આભારી છું. અમે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. હરાજીમાં કોચ અને મેનેજમેન્ટે સારું કામ કર્યું છે અને અમારી પાસે ખેલાડીઓનું સારું મિશ્રણ છે."
સુકાનીપદ મળ્યા બાદ શ્રેયસ અય્યરે કહ્યું કે હું સન્માનિત છું કે ટીમે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું કોચ રિકી પોન્ટિંગ સાથે ફરી કામ કરવા ઉત્સુક છું. ટીમ એવા ખેલાડીઓ સાથે મજબૂત દેખાય છે જેમણે પોતાને સાબિત કર્યું છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. હું આશા રાખું છું કે અમે અમારું પ્રથમ ટાઇટલ જીતવા માટે મેનેજમેન્ટ દ્વારા દર્શાવવામાં આવેલ વિશ્વાસ જાળવી રાખી શકીશું.
પોન્ટિંગને સોંપાઈ મહત્વની જવાબદારી
શ્રેયસ ઐયરને કપ્તાન બનાવવા ઉપરાંત પંજાબ કિંગ્સે રિકી પોન્ટિંગને મુખ્ય કોચ બનાવ્યા છે. પોન્ટિંગ ડિસેમ્બર 2024માં પંજાબ કિંગ્સ સાથે જોડાયા હતા. અગાઉ તેઓ દિલ્હી કેપિટલ્સ સાથે સંકળાયેલા હતા. પોન્ટિંગે ઐયર વિશે કહ્યું કે, "શ્રેયસ ક્રિકેટની સારી સમજ ધરાવે છે અને તેણે પોતાની કપ્તાનશિપ સાબિત કરી છે. મેં અગાઉ IPLમાં તેની સાથે સારો સમય વિતાવ્યો છે."
શ્રેયસ ઐયરનો IPL રેકોર્ડ
ઐયરે અત્યાર સુધી IPLમાં 115 મેચ રમી છે, જેમાં તેણે 3127 રન બનાવ્યા છે. તેણે ટૂર્નામેન્ટમાં 21 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 96 રન છે. ગત સિઝનમાં તેણે 14 મેચમાં 351 રન બનાવ્યા હતા, જ્યારે IPL 2022માં તેણે 401 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો...
રોહિત શર્મા ક્યારે છોડશે કેપ્ટન્સી? BCCIની બેઠકમાં પોતાની દિલની વાત કહી
