નવી દિલ્હીઃ પહેલી જ ટેસ્ટ મેચમાં 10 વિકેટથી કરારી હાર મળ્યાં બાદ ટીમ ઇંડિયાની દરેક જગ્યાએ ટીકા થઈ રહી છે. આ વચ્ચે પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવે ટીમ મેનેજમેન્ટ પર આકરા સવાલો ઉઠાવ્યા છે. ભારતના દિગ્ગજ ખેલાડી કપિલ દેવે ટીમ મેનેજમેન્ટને પૂછ્યું કે તેમને સમજાઈ નથી રહ્યું કે દર મેચમાં નવી ટીમ હોય છે.


એક ન્યુઝ એજેન્સી સાથે કપિલ દેવ વાત કરતાં જણાવે છે કે તેમણે સૌથી પહેલા તો ન્યુઝીલેન્ડની ટીમના ખૂબ વખાણ કર્યા અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓના પણ વખાણ કર્યા. જો મેચ વિષે ગંભીર રીતે વિચાર કરીએ તો સમજાતું નથી કે ટીમમાં આટલાં બધા બદલાવ શા માટે કરવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે "લઘભગ બધી જ મેચોમાં એક નવી ટીમ હોય છે. ટીમમાં કોઈનું સ્થાન નિશ્ચિત નથી. જો ટીમમાં સ્થાનને લઈને ભય રહેશે તો તે ખેલાડી પર અસર કરશે.



કપિલ દેવે વધુમાં કહ્યું કે, બેટિંગ ઓર્ડરમાં મોટા નામ હોવા છતા પણ જો તમે બંન્ને ઇનિંગમાં 200 રનનો સ્કોર બનાવો છો તો પણ તમે જીતની સ્થિતિમાં નથી હોતા. તમારે વધારે યોજનાઓ અને રણનીતિ બનાવવાની રહેશે.

1983માં ભારતીય ટીમને વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવે કહ્યું કે, કેએલ રાહુલને ફોર્મેટના હિસાબે નહી પરંતુ ફોર્મના હિસાબે ટીમમાં સ્થાન આપવું જોઇએ. કપિલ દેવે કહ્યું,”મને સમજમાં નથી આવતું. જ્યારે તમે એક ટીમ બનાવો છો તો તમારે ખેલાડીઓને વિશ્વાસમાં લેવા જોઇએ. જ્યારે તમે વધારે પડ્તા બદલાવ કરો છો તો તેનો કોઇ મતલબ રહેતો નથી. મેનેજમેન્ટ ફોર્મેટના હિસાબે રમનારા ખેલાડીઓ પર વિશ્વાસ કરે છે. રાહુલ ખુબ જ સારા ફોર્મમાં છે પરંતુ તે ટીમની બહાર છે. જ્યારે ખેલાડી ફોર્મમાં હોય છે ત્યારે તેને દરેક મેચ રમવી જોઇએ.”