નવી દિલ્હીઃ ભારત અને મુંબઈના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન લાલચંદ રાજપૂતે પણ ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે અરજી કરી છે. રાજપૂતે મંગળવારે મુખ્ય કોચ પદ માટે અરજી કરી છે. આ સિવાય ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર રોબિન સિંહે પણ મુખ્ય કોચ માટે દાવો રજૂ કર્યો છે.


હાલ બોર્ડે રવિ શાસ્ત્રીની અધ્યક્ષતાવાળા મુખ્ય કોચિંગ સ્ટાફનો કાર્યકાળ ભારતના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ સુધી વધારી દીધો છે. લાલચંદ રાજપૂત મે મહિનાથી ઝિમ્બાબ્વે ટીમના મુખ્ય કોચ હતા. પરંતુ આઈસીસીએ ટીમને સસ્પેન્ડ કરી દીધી છે.



અત્યારે રાજપૂતને કેનેડામાં રમાતી ગ્લોબલ ટી20 લીગમાં વિનિપેગ હૉક્સના કોચ તરીકે નક્કી મનાઇ રહ્યા છે. રાજપૂતે અગ્રણી અખબાર સાથે વાતચીત કરતાં કહ્યું કે ટીમ ઇન્ડિયાના કોચ પદ માટે અરજી કરવાની વાત સ્વીકારી. તેમણે કહ્યું કે હું એવી ટીમ ઇન્ડિયાના કોચ બનીને ગર્વ અનુભવીશ કે જેમાં ખૂબ ટેલેન્ટ છે. તેને બસ યોગ્ય દિશા આપવાની જરૂર છે.

તેમણે કહ્યું કે, મને કોચિંગનો 20 વર્ષનો અનુભવ છે. હું એકમાત્ર ભારતીય કોચ છું જેણે ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન જેવી આંતરરાષ્ટ્રીય ટીમોને કોચિંગ આપ્યું છે. રાજપૂત નેશનલ ક્રિકેટ અકાદમી, બેંગલુરૂથી સર્ટિફાઇડ લેવલ 3 કોચ છે. 2007માં ભારતે પ્રથમ આઈસીસી વર્લ્ડકપ ટી20 જીત્યો ત્યારે રાજપૂત ટીમના મેનેજર હતા.