ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે પાકિસ્તાની ટીમમાં થયેલા સ્પોર્ટ્સ ફિક્સિંગ સંબંધિત એક સનસનીખેજ દાવો કર્યો છે. પાકિસ્તાનના ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે દાવો કર્યો હતો કે, વન-ડે ટીમના તત્કાલિન કેપ્ટન શાહિદ આફ્રિદીએ થપ્પડ માર્યા બાદ ઝડપી બોલર મોહમ્મદ આમિરે સ્પોર્ટ્સ ફિક્સમાં સંડોવાયેલો હોવાની કબૂલાત કરી હતી જ્યારે ઓપનિંગ બેટ્સમેન સલમાન બટ્ટ 2011માં ઇગ્લેન્ડ પ્રવાસ અગાઉ જ આ પ્રકારના ભ્રષ્ટાચારમાં સામેલ હતા.


પાકિસ્તાની ક્રિકેટની છબિ ખરાબ કરનારી આ ઘટનાનો ઉલ્લેખ રઝાકે જીએનએ ચેનલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. રઝાકે કહ્યું કે, આફ્રિદીએ મને રૂમની બહાર જવા કહ્યુ અને થોડીવારમાં મેં થપ્પડનો અવાજ સાંભળ્યો હતો. બાદમાં મોહમ્મદ આમિરે તમામ સચ્ચાઇ જણાવી હતી.

રઝાકે આ પ્રકારની સ્થિતિ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જવાબદાર ગણાવ્યુ હતું. રઝાકે કહ્યું કે, પીસીબી પોતાની કાર્યકુશળતા સાબિત કરવામાં આઇસીસી પાસે જાય છે પરંતુ જાતે જ આ ત્રણ ખેલાડીઓ સાથે વાત કરીને તેમને ઘરે પાછા મોકલી દેવા જોઇતા હતા અથવા એક વર્ષ કે તેનાથી વધુ વર્ષ સુધી પ્રતિબંધ લગાવી દેવો જોઇતો હતો. એવું નહી કરીને પીસીબીએ આખી દુનિયામાં પાકિસ્તાની ક્રિકેટની છબિને ખરાબ કરી છે.

રઝાકે દાવો કર્યો હતો કે સલમાન બટ ઇગ્લેન્ડની ઘટના અગાઉ જાણીજોઇને આઉટ થઇ રહ્યો હતો. મે મારી ચિંતાઓન જાણ આફ્રિદીને કરી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે, આ મારો વહેમ છે બીજું કાંઇ નથી. પરંતુ વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20 વર્લ્ડકપ દરમિયાન જ્યારે હું સલમાન બટ સાથે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે મને વિશ્વાસ હતો કે તે જાણીજોઇને ખરાબ પ્રદર્શન કરી રહ્યો હતો.

નોંધનીય છે કે સલમાન બટ, આમિર અને મોહમ્મદ આસિફને ફિક્સિંગમા દોષી ઠેરવ્યા બાદ 2011માં આઇસીસીએ પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. ત્રણેય ખેલાડીઓએ સજા ભોગવી દીધી છે અને વાપસી પણ કરી છે. પરંતુ આમિરને જ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે. આમિર વર્લ્ડકપનો પણ હિસ્સો છે અને શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.