નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ટૂંકમાં જ પોતાની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. ગાંગુલી ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ શ્ર(બીસીસીઆઈ)ના નવા અધ્યક્ષ તરીકે 23 ઓક્ટોબરે કાર્યભાર સંભળવાના છે. જોકે આ પહેલા ગાંગુલીએ લોઢા કમિટીની ભલામણને ધ્યાનમાં રાખતા સ્પષ્ટ કર્યું છે કે, ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી હવે સિલેક્શન કમિટીની બેઠકમાં ભાગ નહીં લઈ શકે.


બાંગ્લાદેશ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનું સિલેક્શન 21 ઓક્ટોબરના રોજ વાનું હતું. જે હવે  તારીખ બદલાઈને 24 ઓક્ટોબરના રોજ થશે. 23 ઓક્ટોબરે ગાંગુલી બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનશે. જોકે તે કમિટીની બેઠકમાં તે ભાગ નહીં લઈ શકે, પણ તેવામાં તે બેઠકથી પહેલાં સિલેક્શન કમિટીનાં સભ્યો સાથે વાતચીત કરી શકે છે. ટીમની પસંદગી દરમિયાન સિલેક્શન કમિટીના સભ્યો, કેપ્ટન વિરાટ કોહલી અને બોર્ડના સચિવ હાજર રહેશે. પણ રવિ શાસ્ત્રી માટે આ મીટિંગમાં નો એન્ટ્રી હશે.

ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી અને બીસીસીઆઈના નવા અધ્યક્ષ ગાંગુલી વચ્ચેના મતભેદો જગજાહેર છે. 2017 ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન કોચ અનિલ કુંબલે અને કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે થયેલ મતભેદ બાદ કુંબલેએ કોચ પદેથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ કોહલીએ શાસ્ત્રીને કોચ બનાવવાની માગ કરી હતી. જોકે ગાંગુલીએ કોહલીની આ વાતનો વિરોધ કર્યો હતો. બાદમાં સુપ્રીમ દ્વારા રચવામાં આવેલ પ્રશાસકોની સમિતી અને સચિન તેંડુલકરના કારણે સૌરવ ગાંગુલીને પાછળ હટવું પડ્યું હતું. સૌરવ ગાંગુલીએ ઘણી વખત શાસ્ત્રી સામે વિરોધ નોંધાવ્યો છે.