નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચને લઈને હવે કમિટીએ ઝડપથી કામ શરૂ કરી દીધું છે. પરંતુ આ વખતે સૌથી મોટી વસ્તુ જે જોવા મળશે તે એ હશે કે કેપ્ટન વિરાટ કોહલી આ કોચની પસંદગીમાં પોતાનો મત નહીં રાખે ન તો કંઈ બોલશે. ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર એક સીનિયર બીસીસીઆઈ અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.


કોચ માટે અંતિમ નિર્ણય કમિટી કરશે જે ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવની આગેવાનીમાં હશે. ત્યાર બાદ તેની મંજૂરી સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર્સ કરશે.

બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, આ પહેલા કોચ અનિલ કુંબલેની સાથે મુશ્કેલીને લઈને વિરાટે પોતાની વાત રાખી હતી. પરંતુ આ વખતે એવું કંઈ નહીં થાય અને ન તો તે કોઈ કોચની પસંદગી કરશે. આ વખતે કોચ સીલેક્શન કમિટીમાં કપિલ દેવ છે અને તે કોહલીનું કંઈ જ નહીં સાંભળે. તેમણે કહ્યું કે, સિલેક્શન કમિટી સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે. મોટેભાગે હેડ કોચ પસંદગી કરતા હોય છે. પરંતુ આ વખતે હેડ કોચની પસંદગી પહેલા જ સપોર્ટ સ્ટાફની પસંદગી થઈ જશે.