Vinesh Phogat Audio Clip : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે હવે વિનેશ ફોગાટે ઉપાધ્યક્ષને પણ લપેટામાં લીધા છે. જાણીતિ કુસ્તિબાજ વિનેશ ફોગાટે ઉપાધ્યક્ષ દર્શન લાલ પર ગંભીર આરોપ લગાવ્યો છે. આજે વિનેશે રેસલિંગ એસોસિએશનના વાઈસ પ્રેસિડેન્ટ પર આરોપ લગાવ્યો કે તેમણે પણ મહિલા રેસલરનું શોષણ કર્યું છે અને તેની પાસે પુરાવા તરીકે 30 મિનિટનું ઓડિયો રેકોર્ડિંગ છે. 


વિનેશ ફોગાટે એમ પણ કહ્યું છે કે, સમય આવ્યે ત્યારે તેને સૌની સામે મુકશે. જાહેર છે કે, દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોના વિરોધનો આજે ત્રીજો દિવસ છે.


મીડિયા સાથે વાત કરતા વિનેશે કહ્યું હતું કે, જે છોકરીનું શોષણ થયું છે તે હરિયાણા રાજ્યની નથી, પરંતુ મારી પાસે કુસ્તી સંઘના ઉપાધ્યક્ષનો 30 મિનિટનો ઓડિયો છે. ઘણા પુરૂષ કુસ્તીબાજોએ પણ શોષણ અને માનસિક સતામણી વિશે વાત કરી હોવાનો વિનેશે આરોપ લગાવ્યો હતો.


બ્રિજભૂષણ સિંહ પર એફઆઈઆર અંગે વિનેશે કહ્યું હતું કે, અમે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ પરંતુ તેનું કોઈ જ પરિણામ આવ્યું નથી. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો અમે ચોક્કસ પુરાવા સાથે પોલીસ પાસે જઈશું. તેણે કહ્યું હતું કે, અધ્યક્ષજી આ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. તેમણે કેમ આગળ આવીને અમારી સાથે વાત નથી કરી રહ્યાં? આટલું બધું થયા છતાં તે બોલે જ જાય છે અને કહે છે કે હું બોલીશ તો સુનામી આવશે, પરંતુ અમે આટ આટલુ બોલી રહ્યાં છીએ પણ આ મામલે કંઈ થઈ નથી રહ્યું. 


બ્રિજભૂષણ સિંહ પર શું છે આરોપ?


વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અંશુ મલિક, બજરંગ પુનિયા અને રવિ દહિયા જેવા સ્ટાર કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો છે કે, કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે અને કુસ્તીબાજોને માનસિક ત્રાસ આપ્યો છે. આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેના પર કેટલાક કુસ્તીબાજોએ પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે.


સરકાર સાથેની વાતચીત પણ હજી સુધી કોઈ ન ઉકેલ નથી આવ્યો 


દરમિયાન, કુસ્તીબાજો અને સરકાર સાથે સતત વાતચીતનો રાઉન્ડ ચાલી રહ્યો છે. જોકે તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. એક તરફ આરોપ લગાવનાર કુસ્તીબાજએ કહ્યું છે કે, બ્રિજ ભૂષણ વિરુદ્ધ તેમની પાસે પુરાવા છે પરંતુ તે હજી સુધી રજૂ કરવામાં આવ્યા નથી અને પોલીસમાં પણ કોઈ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી.


રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર પણ ગુરૂવારે રાત્રે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને મળ્યા હતા પરંતુ તેનાથી પણ કોઈ ઉકેલ આવ્યો ન હતો. કુસ્તીબાજોનું કહેવું છે કે, જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહને રેસલિંગ એસોસિએશનમાંથી હટાવવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ જંતર-મંતર પર અડગ રહેશે.