નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહે નિવૃત્તી બાદ પ્રથમ વખત પોતાનું મૌન તોડ્યું છે. યુવીએ જણાવ્યું કે, તેણે કેટલીક વાતોનું દુઃખ છે અને સમય આવશે તે તેનો ખુલાસો કરશે. 2007 લર્લ્ડ ટી20 અને 2011 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાના હારી યુવરાજ સિંહે કહ્યું કે, તેણે પોતાના દમ પર ક્રિકેટ રમ્યું અને કોઈની પણ ભલામણ વગર અહીં સુધી પહોંચ્યો.


મીડિયા રિપોર્ટ મુજબ એક ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂ દરમિયાન જ્યારે યુવરાજને પૂછવામાં આવ્યું કે BCCIએ તેને તક કેમ ન આપી તો આનો જવાબ આપતા યુવરાજે કહ્યું કે આનો જવાબ ભારતીય ટીમના કેપ્ટન અને બોર્ડને પૂછવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે યુવીના ગયા બાદ અત્યાર સુધી ટીમ ઇન્ડિયામાં નંબર ચારની સમસ્યા યથાવત છે.

આ વિશે યુવીએ કહ્યું કે મને આનું દુ:ખ છે કે કેટલાક ખેલાડીઓ સાથે સારો વ્યવહાર નથી થયો. મે જ્યારે વાપસી કરી તો 4 અથવા 5 મેચોમાં લગભગ 800 રન બનાવીને આપ્યા તેમ છતાં મને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો. ત્યાર બાદ એક વર્ષ સુધી નંબર ચાર પર અંબાતી રાયડૂને તક આપવામાં આવી. બાદને તેને બહાર કરવામાં આવ્યા પછી લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક અને રિષભ પંતને નંબર ચાર પર બેટિંગ કરાવી.

મને નથી સમજાતુ કે ભારતીય થિંક ટેંક શું વિચારે છે. ખેલાડીઓ સાથે આ પ્રકારનો વ્યવહાર યોગ્ય નથી. વર્લ્ડ કપ દરમિયાન પણ ટીમ ઇન્ડિયા પાસે નંબર ચાર માટે કોઈ ખાસ પ્લાન નહોતો. આ સાથે યુવીએ ભૂતપૂર્વ ખેલાડીઓમાં ઝડપી બોલર ઝહિર ખાન અને વિરેન્દ્ર સહેવાગના વિદાય વિશે પણ દુ:ખ વ્યક્ત કરી કહ્યું કે તેઓ મેદાનથી વિદાયના હકદાર હતા.