ફરી એક વખત મેદાન પર જોવા મળશે યુવરાજ સિંહ, BCCI પાસે માગી મંજૂરી
abpasmita.in | 19 Jun 2019 11:05 AM (IST)
તમને એ પણ જણાવીએ કે, બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના હાલના કોઈપણ સક્રીય ખેલાડીને વિદેશની કોઈપણ ટી20 લીગમાં રમવાની મંજૂરી નથી આપતી.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ક્રિકેટ વર્લ્ડકપ 2019માં રમી રહી છે ત્યારે ટીમ ઇન્ડિયાના સૌથી મોટા વર્લ્ડકપ હીરો યુવરાજ સિંહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી હાલમાં નિવૃત્તીની જાહેરાત કરી હતી. જોકે નિવૃત્તીની જાહેરાત બાદ ફરી એક વખત યુવરાજ પ્રોફેશનલ ક્રિકેટમાં રમવાનું મન બનાવ્યું છે. અહેવાલ છે કે યુવરાજે નિવૃત્તી બાદ બીસીસીઆઈ પાસે વિશ્વભરની ટી20 લીગમાં રમવાની મંજૂરી માગી છે. પીટીઆઈના અહેવાલ અનુસાર, બીસીસીઆઈના એક સૂત્રએ મંગળવારે જણાવ્યું કે, “યુવરાજ સિંહે સોમવારે બોર્ડને પત્ર લખ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઈપીએલમાંથી નિવૃત્તી બાદ મને નથી લાગતું કે બોર્ડને તેને મંજૂરી આપવામાં કોઈ મુશ્કેલી થશે.” તેનાથી એ સ્પષ્ટ થાય છે કે, સપ્તાહ પહેલા યુવરાજે નિવૃત્તીની જાહેરાત બાદ પોતાના કરોડો ફેન્સને નિરાશ કર્યા હતા, હવે ફરી એક વખત તેના ફેન્સના ચહેરા પર આ અહેવાલ બાદ ખુશી જોવા મળી શકે છે. તમને એ પણ જણાવીએ કે, બીસીસીઆઈ ટીમ ઇન્ડિયાના હાલના કોઈપણ સક્રીય ખેલાડીને વિદેશની કોઈપણ ટી20 લીગમાં રમવાની મંજૂરી નથી આપતી. ભારતના ખેલાડી માત્ર દેશમાં રમાનારી આઈપીએલમાં જ રમી શકે છે. જોકે યુવરાજની જેમ જ ક્રિકેટમાંથી નિવૃત્તી લીધા બાદ વીરેન્દ્ર સેહવાગ અને ઝહીર ખાન જેવા ક્રિકેટર યૂએઈમાં રમાયેલ ટી-20 લીગમાં રમી ચૂક્યા છે.