સુરતમાં મોદીના કાર્યક્રમ પહેલાં કોને કોને કરાયા નજરકેદ? 'પાસ'ના નેતાઓ તરફ રખાયું કેવું વલણ ? જાણો
જો કે, આ વખતે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કોઈ નેતા કે કાર્યકરોને પોલીસે નજરકેદમાં રાખ્યા નથી. પાટીદારો તરફ કૂણું વલણ અપનાવીને ભાજપ તેમનો વિશ્વાસ જીતવા માગે છે તેવો મેસેજ પાટીદારોમાં જાય એ માટે પાટીદાર આગેવાનો સામે કોઈ પગલાં નથી લેવાયાં.
આ ઉપરાંત સુરત શહેર કોંગ્રેસના આગેવાનો અને કોર્પોરેટરો અશોક જીરાવાલા, દિનેશ કાછડિયા, ગિરીશ પાનસુરિયા, હાર્દિક ભાલાળા સહિતના દસેક કોંગ્રેસી નેતાને પણ સુરત ક્રાઇમ બ્રાંચમા નજરકેદમાં રખાયા હતા. આ આગેવાનો મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવા જવાના હતા.
મોદી આજે બાજીપુરા ખાતે સુમુલ ડેરીના રૂ. 400 કરોડના પ્લાન્ટનું ઉદઘાટન કરવાના છે. આ કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્ને વિરોધ કરવાની ચીમકી ખેડૂત સંગઠનો દ્વારા અપાઈ હતી. તેના કારણે સુરત પોલીસે સુમુલના એક ડિરેક્ટર જયેશ દેલાડને નજરકેદ કરી દીધા હતા.
સુરત :વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે સુરત પધાર્યા તે પહેલાં તેમના કાર્યક્રમમાં કોઈ ધાંધલ-ધમાલ ના થાય એટલા માટે પોલીસે ખેડૂત સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરોને નજરકેદ કરી લીધા હતા. કોંગ્રેસ દ્વારા મોદીના કાર્યક્રમનો વિરોધ કરવાની ચીમકી અપાતાં પોલીસે આ પગલું ભર્યું હતું.