સુરતઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સુરતના હજીરા સ્થિત એલ એન્ડ ટી આર્મર્ડ સિસ્ટમ કોમ્પ્લેક્ષમાં 51મી કે-9 વજ્ર હોવિત્ઝર ગન દેશને અર્પણ કરી હતી. અત્યાધુનિક ટેંક મેડ ઈન ઈંડિયાથી દેશની સેનાની સુરક્ષામાં વધારો થયો છે. રક્ષા મંત્રી ટેન્ક પર સવાર પણ થયા હતા. લાર્સન એન્ડ ટુબ્રોએ રક્ષામંત્રીને કે-9 વજ્ર-ટી ટેન્કની મારક ક્ષમતાના વિભિન્ન પ્રદર્શન પણ દેખાડ્યા હતા.


ઓ ટેન્કનું વજન 50 ટન છે અને તે 47 કિલોના ગોળાને 43 કિમી દૂર સુધી ફાયર કરી શકાશે. 15 સેકન્ડમાં 3 ગોળા ફેંકી શકે છે. ગોળાને લક્ષ્યથી 10 મીટર સુધી વાળી શકાશે. રક્ષામંત્રાલયે મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતીય સેના માટે વર્ષ 2017માં K9 વજ્ર-T 155 mm/52 કેલીબર કુલ 100 ગન બનાવવા માટે 4500 કરોડ રૂપિયામાં કરાર કર્યા હતા.


આ પહેલા જાન્યુઆરી 2019માં હજીરા એલ એન્ડ ટી ખાતે પ્રથમ વખત કોઇ પ્રાઇવેટ સેક્ટરમાં આર્મડ સિસ્ટમસ કોમ્પલેક્ષનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્વારા કરવામાં આવ્યું હતું.

મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હજીરા સ્થિત એલ એન્ડ ટીએ ઓગષ્ટ-18માં નિર્માણ કરાયેલી કે-9 વજ્ર હોવિત્ઝર ટોપ જેવી વધુ 90 ગન આવનારા વર્ષોમાં તૈયાર કરીને રાષ્ટ્રને અર્પણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે.