રાહુલ પર ફેંકાયેલ પથ્થર ગુજરાતનો નહીં રાજસ્થાનનોઃ ભાજપના ક્યા નેતાએ કર્યો આ દાવો
ધાનેરાથી હેલિપેડ તરફ જતી વેળા રાહુલની કાર પર પથ્થર ફેંકવાની ઘટના બનતાં સુરક્ષામાં છીંડાં બહાર આવ્યાં હતાં. રાહુલ ગાંધીએ આ ઘટના બાદ કહ્યું કે, ઘટના દુઃખદ છે. મારા વિરોધથી કોઈ ફરક પડતો નથી. સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તે ખૂબ ઓછું છે, પૂર પીડિતોને વધુ મદદ મળે તે માટે સરકારમાં રજૂઆત કરવાની તેમણે બાંયધરી આપી હતી.
રાહુલ ગાંધી ધાનેરાથી હેલિપેડ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો. લોકોએ રાહુલ ગાંધીની મુલાકાત વેળા કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાક્રમ પાછળ કોંગ્રેસે ભાજપના ગુંડાઓનો હાથ હોવાનો સીધો આરોપ લગાવ્યો છે, તો ભાજપે કહ્યું કે પોતાના ભાગેડુ ધારાસભ્યોથી ધ્યાન અન્યત્ર ખેંચવા ગુજરાતમાં કોંગ્રેસે જ રાહુલ ગાંધી પર હુમલો કરાવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધીની ગાડીનો માત્ર કાચ ફૂટયો છે. વિડીયોગ્રાફી જોતા આ કોંગ્રેસનો જ પબ્લિસીટી સ્ટંટ હોય તેવુ લાગે છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થર ફેંકાયા હતા, આ હુમલામાં રાહુલ ગાંધીને ઈજા પહોંચી ન હતી, પથ્થરમારામાં રાહુલની કારનો કાચ તૂટયો હતો, જ્યારે એક એસપીજી જવાનને હાથમાં ઈજા પહોંચી હતી.
રાજકોટ: બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાતના આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ આજે વિધાનસભામાં જણાવેલ કે, રાહુલ ગાંધીની ગાડી પર જે પથ્થર ફેંકાયો છે તેવો પથ્થર બનાસકાંઠા જિલ્લામાં કયાંય જોવા મળતો નથી, તે પથ્થર રાજસ્થાન તરફનો છે. જિલ્લાની પ્રજા જ્યારે પૂરથી પીડીત હતી ત્યારે ભાજપના ધારાસભ્યો અને કાર્યકરો તથા પદાધિકારીઓ પ્રજાની મદદમાં હતા જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો રાજકીય હેતુથી બેંગલુરુ જતા રહ્યા હતા.