Hun To Bolish : હું તો બોલીશ : કોના નિશાને મહારાજ સાહેબ ?
જૈન સંતો તેમજ સાધ્વીજીઓની સુરક્ષાને લઈને હાલ સમગ્ર જૈન સમાજમાં ભારે ચિંતા અને આક્રોશ છે. હાલમાં જ મધ્યપ્રદેશના રેવા અને ગુજરાતના ચોટીલા પાસે પગપાળા વિહાર કરી રહેલા જૈન સંતો અને સાધ્વીજીઓના માર્ગ અકસ્માતમાં થયેલા આકસ્મિક અને કથિત સુનિયોજિત મૃત્યુના વિરોધમાં સુરત મહાનગરના સમસ્ત જૈન સમુદાય દ્વારા એક વિશાળ અને ભવ્ય મૌન રેલી યોજી. આ રેલીના માધ્યમથી સુરતનો જૈન સમાજ દેશભરમાં વિહાર કરતા સાધુ-સંતોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર પાસે કડક અને વિશેષ કાયદો બનાવવાની તેમજ અકસ્માત સર્જનારા દોષિતોને ફાસ્ટ-ટ્રેક કોર્ટ દ્વારા સખત સજા અપાવવાની માંગ કરી રહ્યો છે. આ મૌન રેલી પાર્લે પોઈન્ટથી શરૂ થઈને અઠવાલાઈન્સ સ્થિત કલેક્ટર કચેરી સુધી પહોંચી. રેલીમાં જોડાયેલા લોકોના હાથમાં સાધુ-સંતોની સુરક્ષાની માંગ કરતા બેનરો અને પ્લેકાર્ડ્સ જોવા મળ્યા.કોઈપણ જાતના ઘોંઘાટ કે નારીબાજી વગર જૈન સમાજે રેલી યોજી વિરોધ નોંધાવ્યો.
છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજ્યોના હાઈવે પર વિહાર કરી રહેલા જૈન સંતો સાથે હિટ એન્ડ રનની અને જીવલેણ અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરમાં બનેલી બે મોટી ઘટનાઓએ સમગ્ર જૈન શાસનને હચમચાવી દીધું છે, જેને કારણે સમાજ રસ્તા પર ઉતરવા મજબૂર બન્યો છે.






















