Hun To Bolish : હું તો બોલીશ : 'અનંત' વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : 'અનંત' વિવાદ
નવસારીના વાંસદામાં આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમમાં અનંત પટેલનું નિવેદન.. આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસના આદિવાસી નેતા અનંત પટેલે જાહેર મંચ પરથી કહ્યું કે કોંગ્રેસ આદિવાસીઓ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દેશે.. અન્યાય સામે ન્યાય મેળવવા હંમેશા આદિવાસી સમાજ સાથે રહીશ.. અનંત પટેલે તો ત્યાં સુધી ચીમકી પણ આપી દીધી કે.. મારી પાર્ટી પણ જો આદિવાસી સમાજ સાથે અન્યાય કરશે, તો અમને પાર્ટી છોડી દેતા વાર નથી લાગવાની.. આદિવાસી સમાજમાં જન્મ્યો છું અને મરીશ પણ આદિવાસી સમાજમાં જ.. અમને કોઈ લોભ, લાલચ કે ભૂખ નથી. અમારે આદિવાસી સમાજનું કામ કરવું છે.. આદિવાસી બાળકોને શિક્ષણ, મહિલાઓને સુરક્ષા, ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને યુવાનોને રોજગાર અપાવવો છે..
તો ગત માસમાં પણ કૉંગ્રેસનો આંતરિક વિખવાત દેખાયો હતો.. કોંગ્રેસે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે જે વ્યક્તિની (હિતેન્દ્ર પીઠડીયા) નિમણૂક કરી, તેની સામે કિરીટ પટેલના સમર્થકોને વાંધો ઉઠાવ્યો. બીજી તરફ જિજ્ઞેશ મેવાણી આ નિમણૂકના પક્ષમાં જોવા મળ્યા.
વાત તો ત્યાં સુધી પહોંચી ગઈ હતી કે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી. જો કે બાદમાં સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો. અને રાજીનામાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો.
કિરીટ પટેલે તો પક્ષ માટે ભવિષ્યવાણી પણ કરી દીધી હતી કે કોંગ્રેસ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી, જેના કારણે સામાન્ય જનતાનો ભરોસો તૂટી રહ્યો છે. જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે.























