Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે
આજનો પહેલો મુદો છે હોસ્પિટલમાં લાલિયાવાડી નહીં ચાલે... આપણાં ગુજરાતની સરકારી હોસ્પિટલના વહીવટી પ્રશાસન પોતાની કામગીરીમાં કેટલી ચોક્કસાઈ ધરાવે છે.. એના એક એક ઉદાહરણ આજે તમને બતાવીશ....
ક્યાંક સરકારી હોસ્પિટલના કામકાજમાં લોટ, પાણીને લાકડાં.. તો ક્યાંક દર્દીઓ પર પંખા પડે... ક્યાંક દર્દીઓના પગમાં ઉંદરો બટકા ભરી જાય... દર્દીઓની હાલત સારી થવાની જગ્યાએ ખરાબ થઈ જાય..
તારીખ 13 મે... જુઓ આ રાજકોટની સિવિલ હોસ્પિટલ.. અહીં ઉંદર મામા એવા બિંદાસ ફરે છે.. કે દર્દીઓ હેરાન થઈ જાય છે.. રાજકોટ સિવિલના ચોથા માળે સર્જરી વિભાગના દર્દીઓ પણ ત્રાહિમામ છે.. દર્દીઓનું પણ કહેવું છે તે આ ઉંદર તો પગમાં બટકા ભરી જાય છે.. દર્દીઓનું જમવાનું પણ ઉંદરો જમી જાય છે.. બોલો આમાં સારવાર કરાવવી કે ઉંદરોથી બચીને રહેવું.. આ તો ઉંદરોના કારણે વધુ બિમારી ફેલાય.. સાંભળો આ દર્દીઓની વ્યથા...
દર્દીઓની ફરિયાદ બાદ આ મામલે સિવિલ હોસ્પિટલના મીડિયા કોર્ડીનેટર તબીબ કમલ ડોડિયા સાથે વાત કરી હતી ત્યારે તેમણે કેવો જવાબ આપ્યો એ પણ સાંભળો..
સ્પષ્ટ વાત છે કે આવું પહેલી વાર નથી બન્યું.. ગયા વર્ષે પણ આવી ઘટના બની હતી.. અને ત્યારે 40થી વધુ પાંજરાઓ મૂકવામાં આવ્યા હતા.. તો શું દર વખતે આ પ્રશાસન પાંજરા મૂકીને જ સંતોષ માનશે.. દર્દીઓની હાલાકીનું શું.. વર્ષો સુધી ઉકેલ ન આવી શકે એવી કેવી પ્રશાસનની કામગીરી..
તારીખ 14 મે... ભાવનગરના મહુવાની સરકારી જનરલ હોસ્પિટલ.. આ હોસ્પિટલમાં આમ તો દર્દીઓ દવા લેવા માટે આવે.. સારવાર કરાવવા આવે.. પણ હોસ્પિટલની જ હાલત એટલી બિમાર. કે અહીં સાજા આવનાર વ્યક્તિ પણ ઘાયલ થઈને ઘરે જાય.. 14મી મેનો એ દિવસ જ્યારે સરકારી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં ચાલુ હાલતમાં રહેલો પંખો અચાનક તૂટીને નીચે પડ્યો.. સદનસીબે નીચે રહેલા બાળકનો ચમત્કારિક બચાવ થયો.. પણ બાળકની માતાને પંખો પડતા માથા અને આંખના ભાગે ઈજા થઈ..તાત્કાલિક ટાંકા લેવા પડ્યા.. અને આંખમાં વધુ પડતી ઈજાના કારણે જોવામાં પણ ઈજા થઈ..
નવાઈની વાત એ છે કે આ હોસ્પિટલનું હજુ એક વર્ષ પહેલા તો રિનોવેશન કરેલું છે.. પણ એ રિનોવેશન એટલું ખતરનાક કર્યુ કે આવી ઘટનાઓ બનવા લાગી... આટલેથી આ અટક્યુ નહીં..
15 તારીખે એટલે બીજા જ દિવસે ફરી આવી ઘટના બની.. આ વખતે પુરુષ વોર્ડમાં પંખો ધડામ દઈને પડ્યો નીચે.. સદનસીબે યુવકનો આબાદ બચાવ થયો અને મોટી દુર્ઘટના ટળી ગઈ...
સવાલ ઉઠી રહ્યા છે સિવિલના વહીવટી પ્રશાસન પર અને તેની કામગીરી પર..
તાજેતરમાં 27 એપ્રિલે વડોદરાની સયાજી (SSG) હોસ્પિટલના કોલ્ડ રૂમમાં એક વૃદ્ધ મહિલાનો મૃતદેહ યોગ્ય રીતે સચવાયો ન હોવાથી ડીકમ્પોઝ થઈ ગયો હતો. આ ગંભીર બેદરકારીને કારણે મૃતકના સગા અને રેસિડેન્ટ ડોક્ટરો વચ્ચે ભારે વિવાદ અને ઝપાઝપી થઈ હતી. ૭૮ વર્ષીય વૃદ્ધા રંજનબેન વ્યાસનું ૨૭ એપ્રિલ, ૨૦૨૬ના રોજ એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમનો પુત્ર અમેરિકા રહેતો હોવાથી પરિવારજનોએ મૃતદેહને સાચવવા માટે તે જ દિવસે SSG હોસ્પિટલના મોર્ચ્યુરી કેબિનેટમાં મૂકાવ્યો હતો. ભારે ગરમી હોવાના કારણે કોલ્ડ સ્ટોરેજના 'E યુનિટ'માં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ. અતિશય ગરમીને કારણે મૃતદેહ ગંભીર રીતે ડીકમ્પોઝ (કોહવાઈ) થઈ ગયો હતો. ૨૯ એપ્રિલની સવારે જ્યારે અમેરિકાથી પુત્ર ભારત આવ્યો અને પરિવાર સાથે હોસ્પિટલ પહોંચ્યો, ત્યારે માતાનો ચહેરો અને શરીર સંપૂર્ણ વિકૃત અને સોજી ગયેલી હાલતમાં જોઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. હોસ્પિટલ તંત્રની આવી ઘોર બેદરકારી જોઈને પરિજનોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. પરિવારજનોએ જ્યારે મોર્ચ્યુરી વિભાગના સ્ટાફ અને ઓન-ડ્યુટી રેસિડેન્ટ ડોક્ટરોને આ બાબતે સવાલ કર્યા, ત્યારે સ્ટાફે માફી માંગવાને બદલે ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો હતો.
વાત મહેસાણાના વિસનગરની.. તો આ મહિનામા જ વિસનગરની જી. ડી. જનરલ હોસ્પિટલ મોટા વિવાદમાં સપડાઈ, જ્યાં ગરીબ દર્દીઓને મફત કે સસ્તી સરકારી દવાઓ આપવાને બદલે બહારની ખાનગી દુકાનોમાંથી મોંઘી દવાઓ ખરીદવા મજબૂર કરાતા હોવાનો પર્દાફાશ થયો. આ ચકચારી કૌભાંડ સામે આવતા જ સ્થાનિક ગ્રાહક સુરક્ષા મંડળ એક્શન મોડમાં આવ્યું. મંડળે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ કેમ્પસમાં આવેલા જનઔષધિ કેન્દ્રના વહીવટદારને કાયદાકીય નોટિસ ફટકારી.
એટલું જ નહીં.. દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં બેદરકારી દાખવવાના મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ વિસનગરમાં ફરજ બજાવતા જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શ્રીમાળીની કચ્છ ખાતે બદલી કરવાની તેમજ તેમની સામે ખાતાકીય તપાસ શરૂ કરવાની સૂચના આપી..
હોસ્પિટલના તબીબો સિવિલમાં પૂરતો સ્ટોક હોવા છતાં બહારની દવાઓ પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી, જેને પગલે આ કડક પગલું ભરવામાં આવ્યું.આ સમગ્ર વિવાદની શરૂઆત શાહીનપાર્ક સોસાયટીના એક સ્થાનિક દર્દી સાથે થયેલા અન્યાય બાદ થઈ હતી. દર્દીને બહારની મોંઘી દવાઓ લખી આપવામાં આવ્યા બાદ ગ્રાહક સુરક્ષા મંડળે આ મામલાને ગંભીરતાથી લીધો હતો. આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં આવેલ જનઔષધિ કેન્દ્ર દ્વારા વેચેલો માલ પરત ન લેવાની જીદ સામે પણ ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ લાલ આંખ કરવામાં આવી. કાયદાકીય જોગવાઈઓ અનુસાર ગ્રાહક પાસેથી યોગ્ય કારણોસર માલ પરત લેવો એ દુકાનદારની કાનૂની ફરજ બને છે.
તો તાજેતરમાં 9મી મે 2026ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતની નવી સિવિલ હોસ્પિટલની અચાનક "સરપ્રાઈઝ વિઝિટ" લીધી હતી. કોઈપણ પૂર્વ જાણ કે સત્તાવાર કાફલા વગર વહેલી સવારે તેઓ સીધા જ ટ્રોમા સેન્ટર, ઓપીડી (OPD) અને ઇમર્જન્સી વિભાગમાં પહોંચી જતાં હોસ્પિટલના વહીવટી પ્રશાસનની પોલ ખુલી ગઈ હતી.આ મુલાકાત બાદ સરકારે ક્ષતિઓ બદલ કડક પગલાં પણ લીધા.
પ્રફુલ પાનસેરિયાએ OPDની લાઈનમાં ઉભેલા ગરીબ દર્દીઓ સાથે સીધી વાતચીત કરી હતી અને તેમને પડતી અગવડોની વિગતો મેળવી હતી.
હોસ્પિટલમાંથી બહાર નીકળતી વખતે પગમાં પાટો બાંધેલા એક દર્દીને વ્હીલચેર વિના અન્ય લોકોના સહારાથી ચાલતા જોયો હતો. આ જોઈને તેમણે તાત્કાલિક જવાબદાર અધિકારીઓને બોલાવીને આકરી ફટકાર લગાવી હતી અને દર્દી માટે વ્હીલચેરની વ્યવસ્થા કરાવી હતી.
મંત્રીની મુલાકાત દરમિયાન સામે આવેલી અસ્વચ્છતા અને વહીવટી ક્ષતિઓને ગંભીરતાથી લઈને સુરત સિવિલ હોસ્પિટલના ઇન-ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ. ધરિત્રી પરમારની તાત્કાલિક વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી. તેમના સ્થાને ડૉ. પારુલ વડગામાને નવા ઇન-ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ બનાવવામાં આવ્યા.
હોસ્પિટલના દરેક ગેટ પર વ્હીલચેર સાથે કર્મચારીઓ તહેનાત કરાયા, હોસ્પિટલમાં જર્જરિત ટાઇલ્સ બદલવા અને ખાસ સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું હતું..






















