Ahmedabad News: અમદાવાદના નવા નરોડામાં સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનોને AMCની નોટીસ
અમદાવાદના નવા નરોડામાં સ્વામિનારાયણ પાર્કની 200 દુકાનને મહાપાલિકાએ નોટિસ ફટકારી છે. ધર્મદેવ ઈન્ફ્રા તરફથી બીયુ પરમિશન વિના દસ્તાવેજ કરી આપ્યાનો આરોપ લાગ્યો છે. છેલ્લા દસ વર્ષથી બીયુ પરમિશન વિના દુકાનો અને મકાનો હોવાનો ખુલાસો થયો હતો. બીયુ પરમિશનના એએમસીમાં પાંચ કરોડ રૂપિયા ભરવાના છે. સ્વામિનારાયણ પાર્કના 1600 મકાનોને પણ નોટિસ આપવાની મનપાએ તૈયારી શરૂ કરી છે. બીયુ પરમિશનની જો મંજૂરી ન મળે તો મકાનો અને દુકાનો અનઅધિકૃત જાહેર કરવામાં આવશે. બિલ્ડરને અનેક વખત રજૂઆત કરવા છતા બીયુ પરમિશનના પાંચ કરોડ રૂપિયા ભરવા તૈયાર નથી.
આ અંગે એબીપી અસ્મિતાએ સ્થાનિકોનો સંપર્ક કરતા તેને ધર્મદેવના બિલ્ડર અને મનપાના અધિકારીઓ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો હતો. આટલું જ નહીં બીયુ પરમિશન બાદ દસ્તાવેજ કરી આપવાની જવાબદારી બિલ્ડરની છે. પરંતુ બિલ્ડર છેલ્લા 14 વર્ષથી તારીખ પે તારીખ આપી રહ્યા છે. બીયુ પરમિશન વગર લોન આપી દેનારી બેન્કો પણ હવે મુશ્કેલીમાં મૂકાઈ છે. પરમિશનના અભાવે ફ્લેટની કિંમતમાં 50 ટકાનો ઘટાડો થયો હતો. સ્થાનિકોએ સરકાર અને મનપા લોકોનું હિત ધ્યાને લઈ તાત્કાલિક રસ્તો કરે તેવી માંગ કરી હતી. જો મકાનો કે દુકાનો ખાલી કરાવાઈ તો રસ્તા પર ઉતરવાની ચીમકી આપી હતી.





















