Ahmedabad Case: ચાંદખેડામાં ઢોંસા ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં મોટો વળાંક
અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બે બાળકીના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે. માતા-પિતાની તબિયત ખરાબ થવાની ઘટનામાં તપાસ થઇ અને હવે નવી નવી કડીઓ કેસમાં જોડાઇ રહી છે. માહિતી પ્રમાણે, હાલમાં માતા-પિતાની પુછપરછ ચાલી રહી છે અને માતા-પિતાના લોહીમાં એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળી આવ્યુ છે. FSLના રિપોર્ટ બાદ બાળકીના મોતનું કારણ ખબર પડશે. ખાસ વાત એવી છે કે, ગત 27 તારીખે બાળકીના પિતાએ ઘઉંમાં નાખવાની દવાના 10 પેકેટ ખરીદ્યા હતા. એટલુ જ નહીં બન્ને દીકરીઓના જન્મ પહેલાની એક ડાયરી મળી હતી જેમાં પુત્ર પ્રાપ્તીની ઈચ્છાનો ઉલ્લેખ હતો. આ ડાયરી દીકરીઓની માતા જ્યારે ગર્ભવતી હતી ત્યારે લખી હતી.
અમદાવાદના ચાંદખેડામાં ઢોસાનું ખીરું ખાધા બાદ મોતના મામલે હાલમાં તપાસ ચાલી રહી છે. આ ઘટનામાં ઢોસાનું ખીરું ખાધા બાદ બીમાર પડેલા માતા-પિતાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં બન્નેના બ્લડ સેમ્પલ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ દવાની હાજરી મળી છે. જોકે, બન્ને બાળકીમાં આ દવાની હાજરી મળી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. થોડા દિવસ પહેલા બાળકીઓના પિતા ઘઉંમાં મૂકવા માટે દવા લાવ્યા હતા.





















