Chimanbhai Patel's Death Anniversary : સ્વ. ચીમનભાઈની આજે 32મી પુણ્યતિથિ, ભાજપ- કોંગ્રેસના નેતાઓએ આપી શ્રદ્ધાજંલિ
ગુજરાતના ભૂતપૂર્વ અને પાંચમાં મુખ્યમંત્રી તથા ગુજરાતના પ્રથમ પાટીદાર મુખ્યમંત્રી એવા સ્વ. ચીમનભાઈ પટેલની આજે 32મી પૂણ્યતિથિ છે. ગાંધીનગરના નર્મદા ઘાટ સરીતા ઉદ્યાન ખાતે આજે પ્રાર્થનાસભાનું આયોજન કરાયું હતું. જ્યાં ભાજપ- કોંગ્રેસના નેતાઓએ પક્ષાપક્ષીથી દૂર રહી શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. આટલું જ નહીં સ્વ. ચીમનભાઈ પટેલના મુખ્યમંત્રી કાળને યાદ કર્યો હતો. ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનામાં સ્વ. ચીમનભાઈ પટેલનો સિંહફાળો હતો. ગુજરાતમાં ઔદ્યોગિક અને શૈક્ષણિક ક્રાંતિનો પાયો નાંખવાનું કામ સ્વ. ચીમનભાઈ પટેલે કર્યું. વિરોધીઓને પણ પોતાના બનાવીને રાજકારણ કરવાની કુનેહ સ્વ. ચીમનભાઈમાં હતી. ટાંટિયાખેંચના બદલે સ્વ. ચીમનભાઈ પટેલ સંબંધોનું રાજકારણ કરતા હતાં. સ્વ.ચીમનભાઈની ઓળખ એ હતી કે એક સમયે પોતાની ઠાઠડી બાળનારા નરહરિ અમીનને તેને પોતાની જ સરકારમાં ગૃહમંત્રી બનાવ્યા હતાં. નરહરિ અમીને સ્વ.ચીમનભાઈ સાથેના સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચીમનભાઈ જેવી વ્યકિત મે આજદિન સુધી રાજકારણમાં નથી જોઈ. 1990-95 અને હાલના રાજકારણમાં જમીન- આસમાનનો તફાવત છે. કચ્છમાં નર્મદાના નીર પહોંચાડવાનો શ્રેય નરહરિ અમીને ચીમનભાઈને આપ્યો. તો કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે સ્વ. ચીમનભાઈ સત્તામાં ન્હોતા ત્યારે પણ ગુજરાતના હિત માટે સંઘર્ષ કરનારા હતાં. ચીમનભાઈએ ગુજરાત માટે લીધેલા નિર્ણયો સદીઓ સુધી યાદ રહેશે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે સંસ્મરણો વાગોળતા કહ્યું કે ચીમનભાઈમાં વિરોધીઓને પણ પોતાના કરવાની આગવી કુનેહ હતી. ચીમનભાઈ રાજ્યના નેતા હોવા છતાં અન્ય રાજ્યના મુખ્યમંત્રી નક્કી કરી શકતા તેવી તેમનામાં તાકાત હતી. કોંગ્રેસ નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું ચીમનભાઈ પક્ષની અંદર અને વિપક્ષ સાથે હંમેશા સંઘર્ષ કરતા રહ્યા. ચારેય તરફ વિરોધ હોવા છતાં શાંત અને સ્થિર રહેવાની કુનેહ ચીમનભાઈમાં હતી.


















