Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
સુરતના સરથાણા વિસ્તારમાં રહેતી પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાના અપહરણના મામલે આખરે 38 દિવસ બાદ પોલીસને મોટી સફળતા મળી છે. પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચે સગીરાને ભગાડી જનાર 26 વર્ષીય પરણિત અને 2 સંતાનનો પિતા છે એવા યુવક અરવિંદ પંચાસરાની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસની કામગીરી સામે પાટીદાર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો, પરંતુ તપાસમાં વેગ આવતા અંતે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો છે.સુરતથી ભાગ્યા બાદ આરોપી સગીરાને લઈને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છુપાઈને રહેતો હતો. તે પોતાની બોલેરો ગાડી અમરેલી ખાતે મૂકી દીધા બાદ બસમાં મુસાફરી ફરતો હતો જેથી પોલીસ પકડથી બચી શકે. તે સગીરાને લઈને અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર અને બોટાદ જેવા જિલ્લાઓમાં ફરતો રહ્યો હતો. પોલીસને ગુમરાહ કરવા માટે તે ખેતર અને વાડી વિસ્તારોમાં રહેવાનું પસંદ કરતો હતો. મુસાફરી અને રોકાણ દરમિયાન આરોપી અરવિંદ આ 17 વર્ષીય સગીરાને પોતાની પત્ની તરીકેની ખોટી ઓળખ આપતો હતો, જેથી કોઈને શંકા ન જાય., 35 દિવસ સુધી પોલીસ દ્વારા કોઈ સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નહોતી. દીકરી ન મળતા અને પોલીસની ઢીલી કામગીરીને પગલે પાટીદાર સમાજના અગ્રણીઓ અને પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ગત દિવસોમાં સમાજના અગ્રણીઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ ઇન્સ્પેક્ટરની કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી અને તાત્કાલિક અસરથી તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.



















