પાકિસ્તાનમાં 2 હિન્દુઓની ધોળે દહાડે ગોળી મારીને હત્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

ઇસ્લામાબાદઃ પાકિસ્તાના સિંધ પ્રાંતમાં શુક્રવારે બદમાશોએ ધોળે દહાડે બે હિન્દુ અનાજના વેપારીઓની ગોળી મારીને હત્યા કરી છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂનના અહેવાલ અનુસાર માર્યા ગયેલ બન્ને વેપારીની ઓળખ દિલીપ કુમાર અને ચંદ્ર માહેશ્વરી તરીકે થઈ છે. આ ઘટના એવા સમયે ઘટી છે જ્યારે બન્ને ભાઈઓએ થારપાર્કર જિલ્લામાં પોતાની દુકાન ખોલી. પોલીસે જણાવ્યાનુસાર બદમાશોએ બન્ને ભાઈઓ પાસેથી રૂપિયા લૂંટવાનો પ્રયત્ન કર્યો. જ્યારે બન્ને ભાઈઓએ વિરોધ કર્યો તો બદમાશોએ ગોળી મારીને તેની હત્યા કરી દીધી.
ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાએથી પાકિસ્તાનનું મિઠી શહેર માત્ર 60 કિમી જ દૂર છે. ત્યાં હિન્દુઓની વસતી નોંધપાત્ર છે. ગુજરાતના અમદાવાદ, પાલનપુર, મોરબી અને ગાંધીધામ જેવા શહેરમાં મિઠીથી સ્થળાંતર કરીને આવેલા અનેક લોકો વસી રહ્યા છે.
આ બંને ભાઇઓને એક-એક પુત્ર અને પુત્રી છે. દરમિયાન, સિંધના ગૃહ મંત્રી સોહેલ અનવર સિયાલે ઉમરકોટના એસએસપીને હત્યાના બનાવની તપાસ કરવાનો આદેશ આપ્યો છે.
આ બનાવને પગલે હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતા આ વિસ્તારમાં વેપારીઓએ પોતાની દુકાનો ફટોફટ બંધ કરી હતી અને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હાત. લોકોએ વિરોધ સ્વરૂપે ટ્રાફિક પણ અવરોધ્યો હતો. સ્થાનિક લોકોએ એવો આક્ષેપ મૂક્યો હતો કે પોલીસ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી અને તેને લીધે લૂંટારાઓ નાસી છુટવામાં સફળ થયા હતાં.
આ બનાવની વિગત એવી છે કે ચંદરકુમાર પાસે રોકડ ભરેલો થેલો હતો. તે ઝુંટવવાનો લુંટારૂઓએ પ્રયાસ કરતા તેમણે પ્રતિકાર કર્યો હતો. એટલે તેના પર ગોળીઓ દાગવામાં આવી હતી. આ જોઇને મોટો ભાઇ દિલીપ પણ દોડી આવ્યો હતો અને તેને સામે આવતો જોઇને લૂંટારૂઓએ તેના પર પણ ત્રણ ગોળી મારતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તો ચંદરકુમારને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.