Surat News : કેળાના ભાવ 390 રૂપિયાની ઐતિહાસિક  સપાટી પર પહોચ્યા બાદ ફરી તળિયે આવ્યા છે. ખેડૂતોના મતે કેળાના ભાવમાં આવેલો આચકો અયોગ્ય છે. 200 થી 250 રૂપિયા ખેડૂતો માટે અને વ્યાપારીઓ માટે યોગ્ય ભાવ છે. ખેડૂતોની સરકારને કેળાના ટેકાના ભાવ જાહેર કરવાની માંગ છે. 


તહેવારોને કારણે ઓલટાઈમ હાઈ રહ્યાં કેળાના ભાવ 
હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે, ત્યારે તહેવારોમાં ઉપયોગમાં આવતા ફળોના ભાવ પણ વધી ગયા છે. સૌથી વધુ ઉપયોગમાં આવતા કેળાના ભાવ પણ ઓલટાઈમ હાઈ થઇ ગયા હતા, પરંતુ છેલ્લા 15 દીવસથી ફરીથી કેળાના ભાવ તળિયે આવી ગયા છે. ખેડૂતોને હાલ કેળાના ભાવ રડાવી રહ્યા છે.


શરૂઆતમાં તહેવારો ચાલુ થયા ત્યારે કેળાના ભાવ 200 થી 250 હતા હતા જે કેળાની માંગને લઇ 390 થી લઇ 450 રૂપિયા મણ સુધી પહોચી ગયા હતા અને લગભગ એક મહિના સુધી ઓલ ટાઈમ હાઈ રહ્યા હતા, જે કદાચ કેળાના ઈતિહાસમાં સૌથી વધુ ભાવ હતા. પરંતુ છેલ્લા 15 દિવસથી ફરીથી કેળાના ભાવ 150 થી 200 થઇ ગયા છે.


થોડા  સમય માટે કેળાના વધેલા ભાવ જાણે ખેડૂતો માટે દિવાસ્વપ્ન બનીને આવ્યા હતા, પરંતુ ફરી 15 દિવસમાં જ  ભાવ તળીયે આવી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 


જંગલી ભૂંડનો પણ ત્રાંસ 
જોકે અત્યારના સમયમાં સુરત જિલ્લામાં ખેડૂતો  સૌથી વધુ ત્રાસ જંગલી ભૂંડનો સહન કરી રહ્યા છે.  કેળાનો પાક પણ તેમાંથી બાકાત નથી. એક તરફ ઘટી ગયેલા કેળાના ભાવ અને બીજી યુરીયા ખાતરના ભાવમાં તોતિંગ વધારો, ઉપરથી જંગલી ભૂંડનો અસહ્ય ત્રાસ છે. 


કેળાના એક છોડની કીમત 20 થી 30 રૂપિયા અને તેને રોપણી અને ખાતર નાખ્યા બાદ એક છોડ લગભગ 70 થી 80 રૂપિયામાં પડે. પરંતુ જંગલી ભૂંડ છાશવારે આ કેળાના છોડનો નાશ કરી ખેડૂતોને મોટું નુકશાન કરી રહ્યા છે.


રાજસ્થાન અને પંજાબન કારણે ભાવમાં વધારો- ઘટાડો 
કામરેજ વિભાગ ફ્રુટ એન્ડ વેજીટેબલ કો.ઓ. મંડળી દક્ષિણ  ગુજરાતમાં સૌથી વધુ કેળાની લે-વેચ કરતી મંડળી છે. મંડળીના સેક્રેટરીની વાત માનીએ તો પંજાબ અને રાજસ્થામાં કેળાનો ઓછો પાક થતા કેળાની માંગ ખુબજ વધી ગઈ હતી, જેને લઇ ગુજરાતના કેળાના ભાવ ઐતિહાસિક  સપાટીએ પહોચી ગયા હતા. 


બીજી તરફ હવે રાજસ્થાન અને પંજાબમાં પણ કેળાનો પાક ઉતરવાનું શરુ થઇ ગયું છે અને જેને લઇ ગુજરાતમાં માંગ  ઘટતા કેળાના ભાવ તળિયે ગયા છે. જોકે વધેલા ભાવ દરમિયાન જેટલા ખેડૂતોના કેળાનો પાક લેવાઈ ગયો છે એમને ખુબજ ફાયદો થયો છે, એ વાત ચોક્કસ છે. 


ટેકાના ભાવ અને સબસીડીની માંગ 
ગુજરાતમાં હાલ રાજ્ય સરકાર દ્વારા શેરડી તેમજ કેટલાક એવા પાકો છે જેના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. કેળા પકવતા ખેડૂતો પણ ફળોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. ઉપરાંત આખા દક્ષિણ ગુજરાતમાં જંગલી ભૂંડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે સરકાર દ્વારા ખેતરને વાડ કરવા માટે સરકાર સબસીડી આપવામાં આવે એવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે.