Farm Loan Waivers: દેશમાં ખેડૂતોનું ઋણ માફી મુખ્ય મુદ્દો રહ્યો છે. લાંબા સમયથી સરકાર ખેડૂતોના દેવા માફની જાહેરાત કરતી આવી છે. આ દરમિયાન નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેંટ (NABARD)એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં નાબાર્ડે ખેડૂતોની દેવા માફી સંબંધી જાહેરાતાની પરંપરાને લઈ મોટી વાત કહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ખેડૂતોની દેવા માફી સંબંધી જાહેરાતોથી તેમની હાલત સુધરતી નથી પરંતુ ખેડૂતો વધારે દેવાદાર બનવાની સંભાવના વધી જાય છે.


નાબાર્ડે તેના રિપોર્ટમાં કહ્યું છે કે, આવી જાહેરાતોથી ખેડૂતોમાં જાણી જોઈને ઋણ ન ચુકવવાની પ્રવૃત્તિ વધી છે અને ઈમાનદાર ખેડૂતો પણ ઋણ ન ચૂકવતાં ખેડૂતોના લિસ્ટમાં સામેલ થઈ શકે છે. નાબાર્ડે ખેડૂતોના દેવા માફીને લઈ ખેડૂતોનો વ્યવહાર સમજવા પજાબ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશના કુલ 3000 ખેડૂતો સાથે વાત કરી હતી. જે બાદ નાબાર્ડે આ રિપોર્ટ જાહેર કર્યો છે.


મોટાભાગના ખેડૂતો સંસ્થાગત સ્ત્રોતથી ઋણ લે છે


નાબાર્ડને ખેડૂતો સાથેની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, મોટાભાગના ખેડૂતો સંસ્થાગત સ્ત્રોતોથી વધારે ઋણ લે છે. રિપોર્ટ મુજબ ખેડૂતોને બેંક કે અન્ય સંસ્થા પાસેથી મહત્તમ 7.7 ટકા વ્યાજે ઋણ મળે છે. જ્યારે બિન સંસ્થાગત સ્ત્રોતથી ઋણ લેવા પર 9 થી 21 ટકાના દરે ચૂકવણી કરવી પડે છે. ખેડૂતો સંસ્થાગત સ્ત્રોથી વધારે ઋણ લે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઋણ લેવામાં પંજાબના ખેડૂતો અન્ય રાજ્યોથી આગળ છે. પંજાબના ખેડૂતો દર વર્ષે સરેરાશ 3.40 લાખ રૂપિયા ઋણ લે છે, જ્યારે ઉત્તર પ્રદેશના ખેડૂતો સરેરાશ 84 હજાર રૂપિયા અને મહારાષ્ટ્રના ખેડૂતો 62 હજાર રૂપિયાનું ઋણ લે છે.


ખેડૂતો કૃષિ ઋણનો ખેતી સિવાય અન્ય કાર્યમાં પણ કરે છે ઉપયોગ


નાબાર્ડે તેના રિપોર્ટમાં કહ્યું છે કે ખેડૂતો કૃષિ ઋણનો ઉપયોગ ખેતી ઉપરાંત અન્ય કાર્યમાં પણ કરે છે. રિપોર્ટમાં એમ પણ જાણવા મળ્યું કે, કિસાન ક્રેડિટ કાર્ડ પર લેવામાં આવતાં ઋણના અન્ય માર્ગે ઉપયોગ કરવામાં પંજાબ મોખરે છે.