onion export duty removed: ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોદી સરકારે એક મોટો અને રાહત આપનારો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી 20 ટકા ડ્યુટીને હટાવી દીધી છે. આ નિર્ણય આગામી 1 એપ્રિલ 2025થી લાગુ થશે. મહેસૂલ વિભાગે ઉપભોક્તા બાબતોના વિભાગની ભલામણ પર આ સૂચના જારી કરી છે, જેનાથી ડુંગળીના નિકાસકારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે.
સરકારે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપલબ્ધતા જાળવી રાખવા અને કિંમતોને નિયંત્રણમાં રાખવા માટે અગાઉ ઘણા કડક પગલાં લીધાં હતાં. જેમાં નિકાસ ડ્યુટી લાદવી, લઘુત્તમ નિકાસ કિંમત (MEP) નક્કી કરવી અને અમુક સમય માટે નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જેવા પગલાં સામેલ હતા. આ પ્રતિબંધ 8 ડિસેમ્બર 2023 થી 3 મે 2024 સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો. ત્યારબાદ 13 સપ્ટેમ્બર 2024ના રોજ 20 ટકાની નિકાસ ડ્યુટી લાદવામાં આવી હતી, જેને હવે સરકારે દૂર કરી છે.
જો કે, આ પ્રતિબંધો હોવા છતાં ભારતે નાણાકીય વર્ષ 2023-24માં કુલ 17.17 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2024-25માં (18 માર્ચ, 2025 સુધી) 11.65 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસ નોંધાઈ છે. રસપ્રદ વાત એ છે કે સપ્ટેમ્બર 2024માં 0.72 લાખ મેટ્રિક ટનની સરખામણીએ જાન્યુઆરી 2025 સુધીમાં માસિક નિકાસ 1.85 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ હતી, જે વૈશ્વિક સ્તરે ડુંગળીની ભારે માંગ દર્શાવે છે.
નિકાસ ડ્યુટી હટાવવાનો આ નિર્ણય ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અપાવવામાં અને ગ્રાહકો માટે ડુંગળીના ભાવ સ્થિર રાખવાના સરકારના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. તાજેતરના બજારના આંકડાઓ અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં ડુંગળીના સરેરાશ ભાવમાં 39 ટકાનો ઘટાડો થયો છે. તેમજ છેલ્લા એક મહિનામાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવમાં 10 ટકાનો ઘટાડો નોંધાયો છે, જેનાથી સામાન્ય ગ્રાહકોને પણ રાહત મળી છે.
કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે રવિ ડુંગળીનું વિક્રમી ઉત્પાદન 227 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે, જે ગયા વર્ષના 192 લાખ મેટ્રિક ટન કરતાં 18 ટકા વધારે છે. રવી ડુંગળી ભારતના કુલ ડુંગળી ઉત્પાદનમાં 70-75 ટકા હિસ્સો ધરાવે છે અને તે ખરીફ પાકની આવક સુધી બજારમાં ભાવને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ વર્ષે રવિ પાકનું આ વિક્રમી ઉત્પાદન આગામી મહિનાઓમાં બજારમાં ડુંગળીના ભાવને વધુ સ્થિર કરવામાં મદદ કરશે. નિકાસ ડ્યુટી દૂર થવાથી ડુંગળીના નિકાસકારોને આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની સ્પર્ધાત્મકતા વધારવામાં મદદ મળશે.