Monsoon 2023: હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે. આ વર્ષે 96 ટકા (+/-5%) ચોમાસું રહેશે.આ વર્ષે સમગ્ર દેશમાં 83.7 મીમી વરસાદ પડશે. જુલાઈની આસપાસ અલ-નીનોની સ્થિતિ પ્રવર્તી શકે છે. ચોમાસા સાથે અલ-નીનોનો કોઈ સીધો સંબંધ રહેશે નહીં.  પેસિફિક મહાસાગરમાં પેરુ નજીક સપાટીના ઉષ્ણતાને અલ નિનો કહેવામાં આવે છે. અલ નીનોના કારણે સમુદ્ર અને વાતાવરણના તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પરિવર્તનને કારણે સમુદ્રનું તાપમાન 4-5 ડિગ્રી વધે છે. અલ નીનોના કારણે સમગ્ર વિશ્વના હવામાનને અસર થઈ છે.


દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન ભારતમાં સામાન્ય વરસાદ પડશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રવિચંદ્રનના જણાવ્યા અનુસાર, પૂર્વ, ઉત્તરપૂર્વીય વિસ્તારો અને ઉત્તર પશ્ચિમ ભારતના ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અલ નીનો જેટલાં વર્ષો સક્રિય છે, તે બધાં વર્ષ ચોમાસાની દૃષ્ટિએ ખરાબ નહોતાં. ચોમાસા દરમિયાન અલ નીનોની સ્થિતિ વિકસી શકે છે અને તેની અસર ચોમાસાના બીજા તબક્કામાં જોવા મળી શકે છે.




અલ નીનોને પગલે ચોમાસું નબળું રહેવાની શક્યતા: સ્કાયમેટ વેધર


દેશમાં  સરેરાશ ઓછો વરસાદ પડશે તેમ હવામાન અંગે ભવિષ્યવાણી કરનારી પ્રાઇવેટ કંપની સ્કાયમેટ વેધર કંપનીએ જણાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર આ વખતે જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે સામાન્યથી ઓછો વરસાદ પડશે. એજન્સીના અંદાજ મુજબ આ વખતે ચોમાસુ નબળું રહેવાથી ચાર મહિનામાં સામાન્ય કરતા 868 મિમી ઓછો વરસાદ પડશે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર સામાન્યથી ઓછો વરસાદ પડવાની 40 ટકા શક્યતા છે. જ્યારે 15 ટકા શક્યતા એવી છે કે સામાન્યથી વધારે વરસાદ પડશે. 25 ટકા શક્યતા એવી છે કે સામાન્ય વરસાદ થશે. વધારે વરસાદ પડવાની શક્યતા શૂન્ય ટકા છે.


પ્રાઇવેટ હવામાન એજન્સીના ડાયરેક્ટર જતિન સિંહના જણાવ્યા અનુસાર  છેલ્લા ચાર વર્ષથી ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદ પડી રહ્યો હતો.જેનું કારણ લા નીના હતું જે હવે સમાપ્ત થઇ રહ્યું છે. બીજી તરફ હવે અલ નીનો વધી રહ્યું છે. અલ નીનો પરત ફરતા ચોમાસુ નબળું પડી શકે છે. આ કારણે દુષ્કાળ પડવાની શક્યતા છે અને ઓછા વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની શક્યતા છે.


પ્રશાંત મહાસાગરમાં જ્યારે સમુદ્રની ઉપરની સપાટી ગરમ હોય છે ત્યારે અલ નીનોની અસર જોવા મળે છે. જેની અસર દક્ષિણ પશ્ચિમ ચોમાસા પર પડે છે. એક અંદાજ મુજબ મે થી જુલાઇની વચ્ચે અલ નીનોની અસર ફરીથી જોવા મળશે. જેના કારણે દુષ્કાળ પડવાની શક્યતા વધી ગઇ છે. જો કે સ્કાયમેટે જણાવ્યું છે કે દુષ્કાળ પડવાની શક્યતા ફક્ત 20 ટકા છે. 1997માં અલ નીનો શક્તિશાળી હોવા છતાં સામાન્ય વરસાદ પડયો હતો. તેમણે જણાવ્યું હતું કે અલ નીનો સિવાય અન્ય પણ કેટલાક કારણોસર ચોમાસુ નબળું રહેવાની શક્યતા છે. ઇન્ડિયન ઓશન ડાઇપોલ પણ ચોમાસાને નબળું પાડી શકે છે.