ગાંધીનગર: રાજ્યના ખેડૂતો તેમની ઉપજના સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. હાલ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં ચણાના પાકમાં સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસ જેવા રોગ જોવા મળતા, તે અંગે ખેડૂતોને જાગૃત કરવા તેમજ પાકને આ રોગોથી બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ માટેના પગલાઓ જાહેર કરવામાં આવ્યા છે, તેમ ખેતી નિયામકની યાદીમાં જણાવાયું છે. 


વધુમાં જણાવ્યા અનુસાર, સૂકારા, મૂળખાઈ અને સ્ટંટ વાયરસને અસરકારક રીતે નિવારવા માટે અસરગ્રસ્ત છોડ પર કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ પ્રતિ લિટર દ્રાવણનો છંટકાવ કરવો જોઈએ. આ ઉપરાંત પી. ફ્લોરોસેન્સ અથવા ટી. વિરીડી ૨.૫ કિગ્રા પ્રતિ હેકટર ૫૦ કિગ્રા ખાતર સાથે અસરગ્રસ્ત છોડની ઉપર છંટકાવ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે.


સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે


સ્ટંટ વાયરસ રોગ વિષાણુંથી થાય છે, અને મોલો મશી નામની ચૂસિયા જીવાતથી ફેલાય છે. તેના નિયંત્રણ માટે મિથાઈલ-ઓ-ડીમેટોન ૧૨ મિ.લિ. અથવા ડાયમીથોએટ ૧૦ મિ.લિ. જેવાં શોષક પ્રકારની કીટનાશકને ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવાથી વાયરસ નિયંત્રણમાં આવે છે. 


૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે


સુકારા રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડર્મા વીરીડી ૨.૫ કિ.ગ્રા.ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણિયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવાથી રોગ નિયંત્રણમાં આવે છે. ચણાના પાકમાં સુકારો અને મૂળખાઈ રોગના નિયંત્રણ માટે ટ્રાઈકોડમાં વીરીડી અથવા ટ્રાઈકોડમાં હરજીએનમ (૨×૧૦* સીએફયુ/ગ્રામ) સંવર્ધિત છાણિયા ખાતરને ૧ ટન પ્રતિ હેકટર પ્રમાણે વાવણી વખતે ચાસમાં આપવાની ભલામણ કરવામાં આવી છે. 


ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે


અત્રે ઉલ્લેખનીય છે કે, ચણાના પાકમાં થતા આ રોગ જમીનજન્ય અને બીજજન્ય ફૂગથી થાય છે. આ રોગમાં વાવણી બાદ ત્રણ અઠવાડિયા પછી ધરૂ અવસ્થામાં છોડ સૂકાઈને જમીન પર ઢળી પડે છે. પાછોતરો સુકારો પાકની ૩૦ થી ૩૫ દિવસની અવસ્થાથી માંડી ચણાના પોપટા પાકે ત્યાં સુધી જોવા મળે છે, જેના કારણે પાન પીળા પડે છે અને ધીરે ધીરે આખો છોડ સૂકાઇ જાય છે.