Urea Fertiliser: સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલા યુરિયા ખાતરના ડેપો પર ખેડૂતોએ હોબાળો કર્યો હતો. યુરિયા ખાતરની ખરીદી પર નેનો યુરિયા નાઈટ્રોજનની ખાતરની થેલી ફરજીયાત આપવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ખેડૂતોને હાલ નેનો યુરિયા નાઈટ્રોજનની જરૂર ન હોવા છતાં પણ ફરજિયાત ખાતર ડેપો પરથી આપવામાં આવી રહ્યું છે, જેને લઈ હોબાળો કર્યો. 1200 રૂપિયાની ખાતરની થેલી ફરજીયાત આપવામાં આવી રહી હોવાથી ખેડૂતો દ્વારા આ મુદ્દે તંત્રને પણ રજુઆત કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પૂરતું ખાતર મળતું હોવાના દાવા કરવામાં આવ્યા હતા. જે પોકળ સાબિત થતા હોય તેમ મોરબી, જામનગર સહિત અનેક જગ્યાએ ખેડૂતો ખાતર મેળવવા સવારથી લાઈનો લગાવી હતી.
ગુજરાતમા હાલ ખરીફ સીઝન ચાલી રહી છે. વરસાદે વિરામ લેતાં અને વરાપ નીકળતા ખેડૂતોને યુરિયા ખાતરની મોટા પ્રમાણમાં જરૂર પડે છે. થોડા દિવસ પહેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, રાજ્યમાં યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ખેડૂત મિત્રોએ ખોટી અફવાઓથી પ્રેરાવવું નહિ અને જરૂરીયાત મુજબ જ ખાતર ખરીદવું. કૃષિ મંત્રી ગાંધીનગર ખાતે ખેતીવાડી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ સાથે ખાતરની ઉપલબ્ધતા અંગે બેઠક કરી હતી.
કૃષિ મંત્રીએ ખેડૂતોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જરૂરિયાત મુજબનો યુરિયા ખાતરનો જથ્થો પૂરતા પ્રામાણમાં ઉપલબ્ધ છે અને આ જથ્થો પૂરતો જળવાઈ રહે તે મુજબ અમલવારી પણ કરવામાં આવી રહી છે. ખેડૂતમિત્રોએ કોઈપણ અફવાઓથી પ્રેરાવવું નહિ તેમજ જરૂરીયાત મુજબ યુરીયા ખાતરની ખરીદી કરી બિનજરૂરી સંગ્રહ કરવો નહિ. તેમ છતાં યુરિયા ખાતરના જથ્થા બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો સંબંધિત જિલ્લાના નાયબ ખેતી નિયામક(વિસ્તરણ) ની કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું છે.