અમદાવાદઃ પાલડી બસ સ્ટેન્ડ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, 14.37 લાખની લૂંટ
પાલડી વિસ્તારમાં આજે બનેલી લૂંટની ઘટનાએ શહેર પોલીસનું નાક કાપી નાખ્યું છે. દિવાળી સમયે પોલીસ કમિશ્નરની કડક સૂચના હોવા છતાંય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ માટે સૂચના માત્ર કાગળ પરની જ સૂચના રહી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં નવા શહેર પોલીસ કમિશ્નરની નિયુક્તિ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં કમિશ્નરે લગભગ ચાર કલાક સુધી મીટીંગ કરી હતી અને વણઉકેલાયેલા ગુના વિશેની જાણકારી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પરંતુ આ કમિશ્નરનું આ જરૂરી માર્ગદર્શન પણ પોલીસ અધિકારીઓ માટે જરૂરી સાબિત નથી રહ્યું.
ઉલ્લેખનીય છે કે, દીવાળી પહેલાં શહેરમાં કોઈ પણ ચોરી કે લૂંટની ઘટના ન બને તે માટે શહેર પોલીસ કમિશ્નરે તમામ અધિકારીઓને સૂચના આપેલી છે કે શહેરમાં પેટ્રોલીંગ કરતા રહેવું અને ભીડભાડવાળા વિસ્તારો, બસ સ્ટેન્ડ પર સખત પેટ્રોલિંગ કરવું, પરંતુ શહેર પોલીસ માટે શેઠની શિખામણ ઝાંપા સુધી જ રહેતી હોય છે, તે કહેવતને સાર્થક સાબિત કરી છે.
અમદાવાદઃ વિશાલ ગોસ્વામીની ધરપકડ બાદ અમદાવાદ પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, આજે ફરી એક વખત અમદાવાદમાં લૂંટારું ગેંગ સક્રિય થઈ છે. આજે વહેલી સવારે પાલડી વિસ્તારમાં વધુ એક આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે. અંદાજીત 14.37 લાખના સોના ચાંદીના દાગીનાની લૂંટ ચાલવાઈ છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રતનપોળની જાણીતી મગનલાલ માધાવલાલ આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાતા ડિટેક્શનોમાં માહિર ગણાવતી ક્રાઈમ બ્રાન્ચ રોફ જમવવા માટે અને લૂંટાયેલી પોલીસની આબરૂ બચાવવા માટે ઘટના સ્થળ પર દોડી આવી હતી. દીવાળી સમયે કોઈ પણ અઘટીત ઘટના ન બને તેના માટે પોલીસ પ્રિ-એક્શન પ્લાન બનાવતી હોય છે, પરંતુ લૂંટારુઓ પણ પોલીસ કરતા એક સ્ટેપ આગળ હોય તેમ પોલીસના એક્શન પ્લાનના લીરે-લીરા ઉડાડી દેવામાં તત્પર છે.