અ'વાદઃ કૃષ્ણ સામે દંડવત કરતો આ અમેરિકન છે 7000 કરોડનો માલિક, ખ્રિસ્તી ધર્મ છોડી બન્યો છે હિંદુ, 350 કરોડ મંદિર માટે આપ્યા છે દાનમાં
અમદાવાદ: જગવિખ્યાત ફોર્ડ મોટર કંપનીના વારસદારો પૈકી એક આલ્ફ્રેડ ફોર્ડ બે દિવસ માટે અમદાવાદ શહેરના મહેમાન બન્યા છે. આલ્ફ્રેડ પોતે ફોર્ડ કંપનીના સ્થાપક હેન્રી ફોર્ડના પ્રપૌત્ર છે. શનિવારે સાંજે એસજી હાઈવે પર ઇસ્કોન મંદિરમાં આલ્ફ્રેડ ફોર્ડે ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હતા.
આલ્ફ્રેડ ફોર્ડે હવાઇમાં ફર્સ્ટ હિન્દુ ટેમ્પલ બનાવવામાં દાન કર્યું હતું. આલ્ફ્રેડે ડેટ્રોઇટમાં ભક્તિવેદાંતા કલ્ચરલ સેન્ટર પણ બનાવ્યું હતું. આલ્ફ્રેડે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇસ્કોનમાં કરોડો રૂપિયાનું દાન કર્યું છે. આલ્ફ્રેડ શ્રી માયાપુર ટેમ્પલના ચેરમેન છે.
આલ્ફ્રેડ ફોર્ડ દુનિયાની જાણીતી કાર કંપની ફોર્ડ કંપનીના સ્થાપક હેનરી ફોર્ડના પ્રપૌત્ર છે. આલ્ફ્રેડ હાલમાં ડિજિટલ માર્કેટિંગ ફર્મ ચેનલનેટના બોર્ડ ઓફ ડિરેક્ટર છે. આલ્ફ્રેડ 1975માં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ન કૉન્શસ્નિસમાં સામેલ થયા હતા.
તેમણે જણાવ્યું કે, પહેલાં હું રાજકોટ એક વાર આવી ચુક્યો છું પણ અમદાવાદ પહેલી વાર આવ્યો છું. મારી બંને દીકરી પણ અમેરિકા ઇસ્કોન મંદિરમાં સેવા આપે છે. હું તેમને માયાપુર મંદિરે લઇને આવવાનો છું. મારી પત્ની શર્મીલા બંગાળની છે, તે જયપુરમાં અભ્યાસ કરતી ત્યારથી તે ઇસ્કોન મંદિર પ્રત્યે શ્રદ્ધા રાખે છે.
આલ્ફ્રેડ ફોર્ડે જણાવ્યું કે, હું યુવાન હતો ત્યારે પ્રથમવાર ઇસ્કોન મંદિરમાં ગયો હતો અને પ્રભુપાદના વિચારો અને ઇશ્વરના વર્ણન વિષે વાંચ્યું હતું. નારી પત્નિ હું શર્મીલાને મળ્યો તેના દસ વર્ષ પહેલાથી ઇસ્કોન મંદિરમાં સેવા આપતો હતો પણ તેની પ્રતિભાને કારણે વધુને વધુ ઇસ્કોન મંદિર તરફ આકર્ષાયો.
અત્યાર સુધી ગુજરાતમાંથી સાડા ત્રણ કરોડ રૂપિયાનું દાન ભેગુ થયુ છે. માયાપુરમાં બની રહેલા ઇસ્કોન મંદિરના વૈદિક પ્લેનેટોરિયમ માટે આલ્ફ્રેડે પોતે 350 કરોડ દાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત કરતાં વિદેશોમાંથી વધુ ડોનેશન મળી રહ્યું છે. અત્યાર સુધીમાં બે કરોડ ડોલર્સનું દાન વિદેશમાંથી મળ્યું છે.
આલ્ફ્રકેડનાં પત્નિનું નામ શર્મિલા છે જ્યારે તેમની દીકરીઓનાં નામ અનિતા અને અનિષા છે. તેમના એક જમાઇ પણ ગુજરાતી છે. પશ્ચિમ બંગાળના માયાપુરમાં બની રહેલા પ્રભુપાદજીના મંદિર માટે આલ્ફ્રેડ ગુજરાત આવ્યા છે. બે દિવસ સુધી તે અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિઓ અને નેતાઓની મુલાકાત લેશે.
એક અમેરિકનને આ રીતે ભગવાનના પગમાં પડી ગયેલા જોઈ લોકોને આશ્ચર્ય થયું હતું પણ તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. આલ્ફ્રેડ ફોર્ડ 1975માં ખ્રિસ્તી ધર્મ છોડીને હિંદુ બની ગયા પછી ઈસ્કોન સાથે જોડાયા છે અને કૃષ્ણ ભક્તિમાં રત છે. આલ્ફ્રેડે પોતાનું નામ પણ અંબરીષ દાસ કરી નાંખ્યું છે.