ચિરાગ પછી હવે કેતન-અમરીશ પટેલ ભાજપમાં જોડાશે
અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે પાસમાં તડા પડવાના શરૂ થઈ ગયા છે. થોડા સમય પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાયા હતા. આ પછી રાજદ્રોહના આરોપી ચિરાગ પટેલે પણ બે દિવસ પહેલા કેસરીયા કર્યા હતા. ત્યારે વધુ બે પાસના કન્વીનરો ભાજપમાં જોડાવાના છે.
પાસ કન્વીનર કેતન પટેલ કે, જેઓ રાજદ્રોહના કેસમાં આરોપી છે, તેઓ આજે સાંજે ચાર વાગ્યે વિધિવત રીતે કેસરીયો ખેસ ધારણ કરવાના છે. તેઓ આજે કમલમ ખાતે ભાજપમાં જોડાશે. તેમના જોડાવાના સમાચારની સાથે અમરીશ પટેલ પણ ભાજપમાં જોડાવાના સમાચાર મળ્યા છે. નોંધનીય છે કે, કેતન પટેલ રાજદ્રોહના કેસમાં સાક્ષી છે.
અમરીશ પટેલ પણ પાસના કન્વીનર છે અને તેમની સામે પણ રાજદ્રોહનો કેસ થયો હતો. જોકે, રાજદ્રોહના કેસમાં હજુ સુધી તેમની ધરપકડ થઈ નથી. આજે બપોરે ભાજપ મીડિયા સેન્ટર ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. અમરીશ પટેલનો પાટીદાર અનામત આંદોલન માં મહત્વપૂર્ણ ફાળો છે. રાજદ્રોહ કેસ સાથે સંકળાયેલ અમરીશ પટેલ પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે.