આનંદીબેને ચોથીએ લખેલો પત્ર પાંચ દિવસ પછી કેમ જાહેર કરાયો?
રાહુલ ગાંધી અગાઉ સૌરાષ્ટ્રની યાત્રાએ આવ્યા ત્યારે પણ ભાજપે આ જ વ્યૂહરચના અપનાવીને પાટીદારો સાથે ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું. રાહુલ ગાંધી વિદાય થયા તે સાથે તે મુદ્દો ભાજપે બાજુ પર મૂકી દીધો છે. હવે ફરી રાહુલ ગુજરાતમાં આવ્યા ત્યારે ભાજપે એ જ દાવ અજમાવ્યો છે.
અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક જ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી સૌને આંચકો આપી દીધો છે. આનંદીબેન પટેલે મુખ્યમંત્રી પદેથી પણ આ રીતે અચાનક જ રાજીનામું આપ્યું હતું અને ફેસબૂક પર તેની જાહેરાત કરી હતી.
આનંદીબેન પટેલનાં ચૂંટણી નહીં લડવાના નિર્ણયની જાહેરાત કરાય તો મીડિયાનું ધ્યાન એ તરફ જ ખેંચાય તે સ્વાભાવિક છે. તેના કારણે રાહુલ ગાંધીના ગુજરાતના રોડ શો તરફ બહુ લોકોનું ધ્યાન ન જાય અને મીડિયા પણ તેને બહુ કવરેજ ન આપે તેવી ભાજપે ગણતરી માંડી છે, તેવું લોકો માને છે.
જોકે, આનંદીબેન પટેલના રાજીનામામાં રસપ્રદ વાત એ છે કે, તેમણે અમિત શાહને ચાર ઓક્ટોબર 2017ના રોજ આ પત્ર લખ્યો હતો અને પોતે વિધાનસભાની ચૂંટણી લડવા માગતા નથી તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. આમ, તેમણે છ દિવસ પહેલા અમિત શાહને પત્ર લખી દીધો હતો.
ભાજપ દ્વારા અને આનંદીબેન દ્વારા પણ પાંચ દિવસ સુધી આ પત્રની વિગતો જાહેર ન કરાઇ. સોમવારે તેમણે આ વિગતો જાહેર કરી તેના કારણે જાતજાતની અટકળો વહેતી થઈ છે. રાજીકીય વિશ્લેષકોના મતે રાહુલ ગાંધીની યાત્રાને મીડિયા કવરેજ ન મળે તે માટે આ પત્ર આજે જાહેર કરાયો છે.