જગન્નાથ મંદિરના મહંતે ભાજપના ભૂષણ ભટ્ટનું પત્તું કાપી ક્યા મુસ્લિમને ખાડિયાની ટિકીટ આપવા કરી ભલામણ ? જાણો વિગત
ભાજપ મહંતની ભલામણ સ્વીકારે છે કે નહીં તેના પર પણ સૌની નજર છે. ભાજપે અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ નથી આપી. મહંત દિલીપદાસની ભલામણને ધ્યાનમાં રાખીને ભાજપ આ પરંપરા તોડે છે કે નહી તેના પર પણ સૌની નજર મંડાયેલી છે.
તેમણે લખ્યું છે કે, જમાલપુર ખાડિયા લઘુમતી વિસ્તાર છે તેથી તેમના માટે યોગ્ય વિચાર કરવા ભલામણ છે. રસપ્રદ વાત એ છે કે, મહંતે ભલામણ પત્ર સાથે ઉસ્માનભાઈએ સંઘના મુખ્ય મથકના નિર્માણમાં આપેલા 1 લાખ રૂપિયાના દાનની રસીદ જોડી છે. જમાલપુર ખાડિયામાંથી ભાજપના ભૂષણ ભટ્ટ છેલ્લી ચૂંટણીમાં જીત્યા હતા.
ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો આ વિસ્તારમાં પ્રભાવ છે ત્યારે આડકતરી રીતે મહંતે તેમના સ્થાને મુસ્લિમને ટિકીટ આપવા ભલામણ કરતાં આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. મહંતે ભૂષણ ભટ્ટનું પત્તું કાપીને એક મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાની ભલામણ કરી તેના કારણે હિંદુવાદીઓમાં રોષ છે.
મહંત દિલીપદાસે જેમની ભલામણ કરી છે તેમનું નામ ઉસ્માનભાઈ ઘાંચી છે. ઉસ્માનભાઈ ઘાંચી હોટેલવાળા તરીકે જાણીતા છે અને જમાલપુર વિસ્તારમાં તે એચ.એસ. હોટલવાલા તરીકે ઓળખાય છે. દિલીપદાસ મહારાજે ભાજપને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉસ્માનભાઈ ઘણાં વરસોથી ભાજપની વિચારધારા સાથે સંકળાયેલા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે ને ચૂંટણીમાં ઉભા રહેવા માટે દાવેદારો જોરદાર લોબિઈંગ કરી રહ્યા છે ત્યારે જમાલપુરના એક મુસ્લિમ બિઝનેસમેને ભાજપની ટિકીટ કરવા જે રસ્તો અપનાવ્યો તે ચર્ચાસ્પદ બન્યો છે. આ બિઝનેસમેને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ મહારાજ પાસે ભલામણ કરાવી છે.
મહંતના ભલામણ પત્રમાં લખાયું છે કે, ઉસ્માનભાઈ ઘાંચી જમાલપુર ખાડિયા વિસ્તારમાં અને અમારા ભદવાન જગન્નાથ મંદિરની તદ્દન નજીક તેઓનું ધંધાકીય સ્થળ ઘણાં વર્ષોથી આવેલું છે. તેઓ એક સારા બિઝનેસમેન તરીકે તેમજ લોકસેવાનાં કામો માટે સ્વચ્છ અને સારી પ્રતિભા ધરાવે છે અને ઉમદા વ્યક્તિ તરીકે ઓળખાય છે.