કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કર્યા, જાણો કોને મળી શકે છે ટીકિટ

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષો તેની તૈયારીમાં લાગ્યા છે. કૉંગ્રેસે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે મળેલી સ્ક્રીનીંગ કમિટિની પ્રથમ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. કૉંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે ચોક્કસ માપદંડો નક્કી કરાયા છે. કોને ટીકીટ નહિ મળે તે માટે પ્રદેશ કોંગ્રેસે કવાયત હાથ ધરી છે જો કે આ નિર્ણયથી નારાજગી બહાર ન આવે તે માટે સત્તાવાર જાહેરાત કરવાનું ટાળ્યું છે.
પ્રદેશ કોંગ્રેસે હાલ આ નિયમોની સત્તાવાર જાહેરાત નથી કરી પરંતુ આગામી દિવસોમાં વધુ બેઠકો મળશે અને ત્યારબાદ નારાજગી ન થાય તે રીતે જાહેરાત કરાશે. સ્ક્રીનીંગ કમિટિ પ્રદેશના નેતાઓ સાથે વન ટુ વન બેઠકો કરીને ઉમેદવારો અને નેતાઓને સમજાવશે તો સાથે જ 43 ધારાસભ્યોને રીપીટ કરવા અંગે અંતિમ નિર્ણય પણ સ્ક્રીનીંગ કમિટિ કરશે. કમિટિએ રાહુલ ગાંધીના કાર્યકર્તા સંવાદમાં ઉઠેલા પ્રશ્નોનુ વિશેષ ધ્યાન રાખીને આ પ્રકારના નિર્ણયો લીધા હોવાનું સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. આગામી 29 મી સપ્ટેમ્બર સુધીમાં 40 ટકા ઉમેદવારોની જાહેરાત કરી શકાય તે પ્રમાણે બેઠકો હાથ ધરાશે.
કૉંગ્રેસમાંથી ચૂંટણી લડેલા અને 20 હજાર કરતા વધારે મતોથી હારનો સામનો કરનારા ઉમેદવારોને પણ ટિકિટ નહી ફાળવવામાં આવે. આ સાથે જ કૉંગ્રેસે જાહેર કર્યું છે કે મતવિસ્તારની બહારના ઉમેદવારોને પણ સ્થાન નહી આપવામાં આવે.
કૉંગ્રેસે જાહેર કર્યું છે કે 70 વર્ષથી વધુની વયના ઉમેદવારોની ટીકિટની ફાળવણી કરવામાં નહી આવે. તેમજ 2 વખત વિધાનસભાની ચૂંટણી હારેલા ઉમેદવારોને પણ ટીકિટ નહી મળે.