કેશુભાઈના પુત્ર પ્રવીણભાઈ હતા ‘ભગવાનના માણસ’, જાણો કોના રંગે રંગાયેલા? કેશુબાપા અંતિમ સંસ્કાર માટે અમેરિકા કેમ નહીં જાય ?

કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ અને જમાઈ મયૂર દેસાઈ રાજકારણમાં સક્રિય છે. આ લોકો સતત ચર્ચામાં રહ્યા છે પણ પ્રવીણભાઈ વરસોથી આ બધાથી અલિપ્ત થઈ ગયા હતા અને આધ્યાત્મિકતાના માર્ગે વળી ગયા હતા. પ્રવીણભાઈ ઓશોના સન્યાસી હતા અને સ્વામી ધર્મસરસ્વતી તરીકે જાણીતા હતા.
સ્વ. પ્રવીણભાઇ પટેલ રાજકોટમાં જ ભણ્યા હતા પણ અને છેલ્લાં 15વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા હતા. અમેરિકાના ડલ્લાસમાં તે રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. જો કે રાજકોટની પી.ડી.માલવિયા કોલેજમાં અભ્યાસ કરતા હતા તે વખતથી જ પ્રવીણભાઈ ઓશોના રંગે રંગાયા હતા.
પ્રવીણભાઈ ઓશો રજનીશના પરમ ઉપાસક હતા અને ઓશો પાસેથી તેઓએ વર્ષો પહેલાં સન્યાસ લીધો હતો. ઓશાના કારણે અધ્યાત્મિકતાના રંગે રંગાયેલા પ્રવીણભાઈ પિતાની રાજકીય પ્રવૃત્તિથી તો અલિપ્ત હતા જ પણ બીજી કોઈ લપ્પનછપ્પનમાં પડ્યા વિના નિર્વિવાદ જીવન જીવતા હતા.
ચાર દિવસ પહેલાં પ્રવીણભાઈને ફેફસાંમાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલમાં તેમની તબીયતમાં સુધારો જણાયા બાદ અચાનક શુક્રવારે હૃદયરોગનો હુમલો આવતાં ભારતીય સમય મુજબ રાત્રે 12.30 અંતિમ શ્વાસ ખેંચ્યા હતા. બુધવારે ડલ્લાસ ખાતે તેમના અંતિમ સંસ્કાર થશે.
સ્વ. પ્રવીણભાઈ અમદાવાદના ભીમજીભાઇ પટેલ મેડીકલવાળા પરિવારના જમાઇ હતા. સ્વ. પ્રવીણબાઈ પોતાનાં ધર્મપત્નિ સંગીતાબેન, સૂપૂત્ર સિધ્ધાર્થ, સૂપૂત્રી સરચી સહિતનાં પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે.
સ્વ.પ્રવીણભાઇના દેહવિલયના ખબર મળતાં કેશુભાઇના દિકરા ભરત પટેલ, પૂત્રવધૂ ભારતીબેન, દિકરી સોનલબેન વગેરે તાત્કાલિક અમેરિકા પહોંચી ગયાં છે. કેશુભાઇને અવસ્થા અને નાદુરસ્ત તબિયતના કારણે તબીબોએ મુસાફરી નહિ કરવાની સલાહ આપી છે. તેના કારણે તે અંતિમસંસ્કારમાં હાજરી નહીં આપી શકે. (ઉપરની તસવીર કેશુભાઇના બીજા દીકરા ભરત પટેલની છે.)
કેશુભાઈ પટેલ આગામી સપ્તાહે અમેરિકા પહોંચે તેવી શક્યતા છે. પ્રવીણભાઈના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે. કેશુભાઈના આગ્રહથી પૌત્ર સિદ્ધાર્થના લગ્ન અમદાવાદ ખાતે યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં રાજકારણીઓ હાજરી આપી હતી.
અમદાવાદઃ રાજ્યના ભૂતપુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના પુત્ર પ્રવીણભાઇ પટેલનું 60 વર્ષની વયે ફેફસાંની બિમારી અને હૃદયરોગના હુમલાના કારણે દુઃખદ અવસાન થતાં સમગ્ર પાટીદાર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઇ ગઇ છે. પ્રવીણભાઈ ભગવાનના માણસ તરીકે જાણીતા હતા અને અજાતશત્રુ હતા.