PAASના કાર્યકરો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે તે વિશે હાર્દિકે શું કહ્યું?

‘પાસ’ના નેતાઓ પૈકી વરૂણ પટેલ, રેશમા પટેલ, મનોજ પનારા, નચિકેત મુખી, નીલેશ એરવડિયા, દિનેશ બાંભણિયા, દિલીપ સાબવા, અલ્પેશ કથીરીયા, લલિત વસોયા અને કિરીટ પટેલને કોંગ્રેસમાંથી ટિકિટ મળવાની શક્યતા છે.
તેણે પોતાની રાજકીય મહેચ્છા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, મારી પોતાની કોઇ રાજકીય મહત્વકાંક્ષા નથી અને ૨૫ વર્ષ ન થાય ત્યાં સુધી હું ચૂંટણી લડી શકું તેમ નથી. લોકોની સાથે હોય અને રાજ્યના હિતમાં હોય તેમની સાથે રહીશું.
હાર્દિકે જણાવ્યું હતું કે, ભાજપ હોય કે કોંગ્રેસ પાટીદારોને ૪૫ જેટલી ટિકિટ ફાળવે છે. તેણે એમ પણ ઉમેર્યું હતું કે, અમે ટિકિટ માગવાના નથી અને પાસમાંથી કોઇપણ વ્યક્તિ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે પરંતુ પાસના બેનર હેઠળ ચૂંટણી નહીં લડી શકે. જો પાસમાંથી કોઇને ટિકિટ મળશે તો પાસ સહયોગ આપશે.
હાર્દિકે આગામી મુખ્યમંત્રીને લઈને પણ સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે, પાટીદાર મુખ્યમંત્રી જ હોવો જોઇએ તેવું નથી. તે દલિત કે મુસ્લિમ હોય તો પણ અમને કોઇ વાંધો નથી. તેમણે અનામતની વાત કરતાં જણાવ્યું હતું કે, અનામત એ બંધારણીય હક છે અને પાસ તેની તરફેણ કરે છે પરંતુ જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મીટીંગ થઇ ત્યારે અનામતના મુદ્દાને જ ઉડાવી દેવાયો હતો.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે થોડા સમય પહેલાં જ એવાં સમાચાર વહેતાં થયા હતા કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કાર્યકરો કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના છે. જોકે, આ સમયે કોંગ્રેસે પાસ તરફથી તેમને કોઈ યાદી ન મળી હોવાનું જણાવ્યું હતું.
જોકે, હાર્દિક પટેલે પાસના કોઈપણ કાર્યકરને કોંગ્રેસની ટિકિટ મળે તો સહયોગ આપવાની વાત કરતાં પાસના કાર્યકરો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે, તેવા સમાચારોને સમર્થન મળી રહ્યું હોય તેવું લાગે છે. પાસ કન્વીનર હાર્દિક પટેલે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, પાસના બેનર નીચે કોઈ ચૂંટણી નહીં લડી શકે પરંતુ જો કોંગ્રેસ પાસના કાર્યકરને ટિકિટ આપશે તો પાસ અને હું તેને સહયોગ આપીશ.