એટીએમ ખૂલ્યાં ખરાં પણ મોટા ભાગનાં લોકોને થયો ધરમધક્કો, જાણો કેમ ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટો બંધ કરી તેના કારણે બે દિવસ માટે દેશભરમાં એટીએમ બંધ રખાયાં હતાં. એટીએમમાંથી જૂની નોટો કાઢીને નવી નોટો ભરવા માટે બે દિવસ એટીએમ બંધ રખાયાં હતાં પણ બેંકોનું તંત્ર પહોંચી ના વળતાં લોકોની તકલીફો ઘટવાન બદલે વધી છે.
અમદાવાદઃ બે દિવસ લગી બંધ રહ્યા પછી આજથી એટીએમ ખૂલ્યાં હતાં પણ મોટા ભાગનાં લોકો માટે એટીએમમાં પૈસા કાઢવાની વાત ધરમધક્કો સાબિત થઈ હતી. લોકો વહેલી સવારથી જ એટીએમમાંથી નાણાં કાઢવા લાઈનો લગાવીને ઉભા હતા પણ મોટા ભાગનાં એટીએમમાંથી નોટો જ ન નિકળતાં લોકો પરેશાન થઈ ગયાં હતાં.
લોકોને આશા હતી કે નવી નોટો ઉપલબ્ધ થશે તેના કારણે લોકોને રાહત થશે અને બેંકો પરનો બોજ પણ ઘટશે પણ તેના બદલે સ્થિતી બહુ બદલાઈ નથી. આજથી ક વ્યકિત એક કાર્ડ દ્વારા 18 નવેમ્બર સુધી પ્રતિદિન રૂપિયા 2000 કાઢી શકશે. બાદમાં તેની લીમીટ વધારીને 4000 રૂપિયા કરી દેવાશે.
કેટલાંક એટીએમમાંથી નોટો તો નિકળી હતી પણ તેને માટે એટલી બધી માથાકૂટ કરવી પડી હતી કે લોકો પરેશાન થઈ ગયાં હતાં. સવારના પહોરમાં કામધંધા પર જવાના સમયે જ આ બધી મગજમારીઓ થતાં ઠેર ઠેર કકળાટ પણ થયો હતો. કેટલાંક ઠેકાણે શરૂઆતમાં કામ કર્યા પછી એટીએમમાંથી નોટો ખૂટી ગઈ હતી.