હાર્દિકની 17મીએ હિંમતનગર પાસે સભા, જાણો કોણે ક્યા બહાને માંગી મંજૂરી, શું હશે સભાનો સમય?

શનિવારે હિમતનગર મામલતદાર પાસે સાબરકાંઠા પાસ કન્વીનર રવિ પટેલે પોતાના નામ સાથે કાંકરોલ ગામની સીમમાં 17 જાન્યુઆરીએ બપોરે 2 થી સાંજે 5 દરમિયાન પાટીદાર સમાજના જીપીએસસીમાં પાસ થનાર તેજસ્વી તારલાઓનું સન્માન કાર્યક્રમ હાર્દિક પટેલના હસ્તે કરવાના બહાને સભાની લેખિત મંજૂરી માંગી છે.
આ આયોજન માટે શનિવારે હિંમતનગર હડીયોલ, તલોદના ખેરોલ સહિતના ગામોમાં કાર્યકરો સાથે બેઠક યોજી હતી. તેમાં નિર્ણય લેવાયો કે યુવા પાટીદારોની પાંચ ટીમો બનાવી આ સપ્તાહે 85 ગામોમાં બેઠક કરાશે. પાટીદારોને ફરી સક્રિય થવાની હાકલ આ બેઠકોમાં કરાશે.
પાસના દિનેશ બાંભણિયા, દિલીપ સાંબવા, મનોજ પટેલે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ધામા નાખ્યા છે અને હાર્દિકના ગુજરાતમાં આગમનની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાય તેવો શાનદાર શો કરવા પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે. તેના ભાગરૂપે ગુજરાતમાંથી 5000 કાર રતનપુર જશે.
બીજી તરફ હિંમતનગરના કાંકરોલી ગામ પાસે પાસ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ અંગે મામલતદાર પાસે મંજૂરી માંગવામાં આવી છે. હાર્દિક પટેલના ગુજરાત પ્રવેશને ધમાકેદાર બનાવી પાટીદાર અનામત આંદોલનમાં નવા પ્રાણ પૂરવા પાસ દ્વારા એડીચોટીનું જોર લગાવાઇ રહ્યુ છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ 17 જાન્યુઆરીએ ગુજરાતમાં પ્રવેશ કરશે. હાર્દિક પટેલને આવકારવા રતનપુર બોર્ડર પર ઉમટી પડવા પાટીદારોને હાકલ કરાઈ છે. બે લાખ પાટીદારોને ખડકી દેવાની પાસની યોજના છે.