અલ્પેશનો હુંકાર: લાઠી-ગોળી ખાઈને પણ મોદીનો કાફલો રોકીશું, ભાજપમાં જોડાવવા વિશે શું કહ્યું?
કોંગ્રેસના અમરેલીના ધારાસભ્ય અને યુવા નેતા પરેશ ધાનાણીએ હાર્દિક અને અલ્પેશ સહિતના યુવા નેતાઓનું કોંગ્રેસમાં સ્વાગત હોવાનું જણાવતાં કહ્યું કે, આજે રાજ્યમાં માત્ર પછાત, ખેડૂત કે વ્યાપારી જ નહીં પરંતુ 18 વર્ણ(તમામ સમાજો)માં ઉકળાય પ્રવર્તી રહ્યો છે. ભાજપના 22 વર્ષના શાસનમાં કોઈ એક સમાજ તેમને થયેલાં પાંચ ફાયદા ગણાવી જૂએ. ભાજપની સરકાર સામાન્ય લોકોની સમસ્યાઓને ન સમજતી સંવેદનાહીન સરકાર હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
અમારા હકની પૂર્તિ માટે રાજકીય પ્રતિનિધિ ચૂંટવાના લોકશાહી અધિકારનો ઉપયોગ કરીને અમે રાજકારણમાં પ્રવેશવામાં પણ પાછીપાની નહીં કરીએ એમ, તેમણે ઉમેર્યું હતું. તમે ભાજપ કે કોંગ્રેસમાં જોડાશો? તેવા સવાલનો સ્પષ્ટ ઉત્તર આપવાનું ટાળતાં કહ્યું હતું કે, ગરીબ-પછાત વિરોધી વિચારધારા ધરાવતા ભાજપ સાથે જવાનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. કઈ રાજકીય પાર્ટી સાથે તેઓ જોડાશે તેનો ખુલાસો 9મી ઓક્ટોબરે કરવાનું કહી તેમણે ઉમેર્યું કે, હવે આ એલાનમાં કોઈ મુદત પડશે નહીં.
દારૂના દૂષણથી રાજ્યના 4,000 ગામડાંઓને મુક્ત કરાવ્યા હોવાનો દાવો કરતાં તેમણે કહ્યું કે, અમે આ સમાજને થઈ રહેલાં અન્યાયના ઉકેલ માટે શાંતિપૂર્વક લડત આપી રહ્યા છીએ, પરંતુ સરકાર અમારા સંયમ અને વિનમ્રતાને મજબૂરી સમજી રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ તેમનું આ વલણ સરકારને આગામી ચૂંટણીમાં ભારે પડશે. ઓબીસી સમાજના પ્રશ્નો-હકની આડમાં પોતાની રાજકીય મહત્વાકાંક્ષા પોષતા હોવાના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, અમારી લડાઈ પદ કે પ્રતિષ્ઠા માટેની નથી.
અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન, સ્વમાન અને ઈમાનદારીની છે અને અમારી વાત સરકાર નહીં સાંભળે તો લાઠી-ગોળી ખાઈને પણ અમને વડાપ્રધાનનો કાફલો રોકતા કોઈ અટકાવી શકશે નહીં તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. ગરીબ અને પછાત સમાજના ઉત્કર્ષ માટે ભાજપ સરકારની રાજકીય ઈચ્છાશક્તિ પર સવાલ ઉઠાવતાં અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, દારૂબંધી ધરાવતા ગાંધીના ગુજરાતમાં દારૂ જેવા દૂષણ માટે આંદોલન કરવું પડે અને સરકારને કાયદો બનાવવો પડે છે પરંતુ કમનસીબી એ છે કે, કાયદો બનાવ્યા પછી પણ તેનો અમલ થતો નથી.
અમદાવાદ: ગુજરાતમાં દારૂ સહિતની સામાજિક બદીઓ અને ફીક્સ પગારદારો, ખેડૂતોના મુદ્દે આંદોલન ચલાવનારા ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ભાજપને ગરીબ અને પછાત વિરોધી વિચારધારા ધરાવતો પક્ષ ગણાવી આગામી ટૂંક સમયમાં રાજકારણમાં જોડાવાના સ્પષ્ટ સંકેત આપ્યા છે. એક ટીવી ચેનલને અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, જોકે તેઓ ભાજપ કે કોંગ્રેસમાંથી કોની સાથે હાથ મિલાવશે તેનો ફોડ ન પાડતાં તેમની વિચારસરણીને અનુરૂપ રાજકીય પક્ષમાં જોડાવાનો નિર્ણય 9મી ઓક્ટોબરે કરવાનું એલાન કર્યું છે.