રૂપાણી કેબિનેટમાં આ દિગ્ગજ પાટીદાર નેતાનો કરાશે સમાવેશ, જાણો વિગત
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદેથી જીતુ વાઘાણીને હટાવી તેમના સ્થાને પ્રદિપસિંહ જાડેજાને પ્રદેશ પ્રમુખ પદે બનાવવામાં આવે તેવી શક્યતા છે. જોકે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થાય તેવી રાહ જોવામાં આવી રહી છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે આ પરિવર્તન વિચારવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
પ્રદેશ ભાજપને સુષુપ્ત અવસ્થામાંથી બહાર લાવી ચેતનવંતુ તથા મજબૂત બનાવવાના ભાગરૂપે પ્રદીપસિંહ જાડેજાને સંગઠનનું સુકાન સોંપવામાં આવે તેવી યોજના છે જે અંગે પ્રદીપસિંહ પણ સંમત થઈ ગયા છે તેવું ભાજપ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવ્યું નથી.
જીતુ વાઘાણીને પ્રદેશ પ્રમુખ પદે માંડ દોઢ વર્ષ થયું છે અને આટલા ઓછા સમયમાં પ્રદેશ પ્રમુખ બદલવામાં આવે તેવી કદાચ પહેલી ઘટના ભાજપમાં જોવા મળશે. કોંગ્રેસના સારા દેખાવ છતાં પણ ત્યાં પ્રદેશ પ્રમુખ બદલાયા અને ભાજપના નબળા દેખાવ છતાં પણ પ્રદેશ પ્રમુખ બદલાતા નથી એવું મ્હેણું ભાંગવા પણ સંગઠન સ્તરે ભાજપમાં ફેરફાર જરૂરી બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
આમ છતાં જીતુ વાઘાણી માટે તેમની જ્ઞાતિનું ફેક્ટર એડવાન્ટેજ બની રહ્યું છે. તેથી એમને કેબિનેટ મંત્રી પદ સોંપાય તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જીત વાઘાણીને મંત્રીમંડળમાં સમાવવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ પ્રદેશ ભાજપ એકમમાં એપ્રિલ-મેમાં સંગઠન પર્વ શરૂ થવાનું હતું પરંતુ હવે આ અંગે કોઈ કહેવા તૈયાર નથી.
ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્ત્વ કરતા પ્રદીપસિંહ અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ખૂબ જ નજીક છે અને આ સમાજમાં પાર્ટીનું વર્ચસ્વ વધારવા મુખ્યમંત્રી પોતે આતુર હોવાનું જાણવા મળ્યું છે. વિધાનસભા ચૂંટણીમાં જે રીતે ભાજપનો રકાસ થયો હતો અને સંગઠન સ્તરે બધાંને સાથે લઈને ચાલવામાં જીતુ વાઘાણી નિષ્ફળ ગયા હોવાથી ભાજપની શીર્ષસ્થ નેતાગીરી ખુશ નથી જેના કારણે પ્રમુખ પદેથી તેમને બદલવામાં આવે તેવી શક્યતા છે.
અમદાવાદ: ગુજરાતની ભાજપ સરકારમાં અને સંગઠનમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા છે. કોંગ્રેસ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને હટાવવામાં આવે તેવી શક્યતા છે અને તેમની જગ્યાએ વર્તમાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે જીતુ વાઘાણીને મંત્રીમંડળમાં સમાવવામાં આવે તેવી શક્યતા છે.