રમોડિયા ભાઇઓ સિવાય ગુજરાતના અન્ય ક્યા નવ યુવકો હતા ISના સંપર્કમાં, જાણો
બીજી તરફ વસીમ અને નઈમના સંપર્કો, તેમના કૃત્ય અને પ્લાન અંગે જાણવા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, સ્પેશિયલ સેલ ઉપરાંત હૈદરાબાદની સી.આઈ. સેલ (કાઉન્ટર ઈન્ટેલિજન્સ)ની ટીમો ગુજરાત એ.ટી.એસ.ની કચેરીમાં દોડી આવી છે અને આરોપીઓની પૂછપરછ કરાઈ રહી છે.
ઉપરાંત રમોડીયા બંધુઓમાં વસીમ કટ્ટર માનસિકતા ધરાવતો હતો અને તે સતત ઇસ્લામિક ભાષણો સર્ચ કરતો હતો. તેણે ઇન્ટરનેટ પર ઝાકીર નાઇકના ભાષણો ડાઉનલોડ કરીને તેના ભાઇ નઇમને સંભળાવ્યા હતા. એટલું જ નહીં ઝાકીરની વિચારધારા સંદર્ભે તે તેના પરિવારને પણ જણાવતો હોવાનું એટીએસના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
વસીમે પોલીસ સમક્ષ એ પણ કબૂલાત કરી છે કે, આ નવ યુવકો પૈકી પાંચ અમદાવાદના અલગ અલગ વિસ્તારના છે, જ્યારે ચાર રાજકોટના છે. જે વસીમ ઉપરાંત આઈ.એસ.આઈ.એસના ભારતમાં છુપાયેલા હેન્ડલર સાથે પણ સંપર્કમાં હતા. પોલીસે આ નવેય શખ્સોની તપાસ શરૂ કરતા જાણવા મળ્યું કે તે તમામ વસીમ અને નઈમ પકડતા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ગુજરાત એ.ટી.એસ.ના ડીવાય એસ.પી. કે.કે. પટેલે જણાવ્યું હતું કે, વસીમે કબૂલાત કરી છે કે રાજ્યના અન્ય નવ યુવકો પણ તેના સંપર્કમાં હતા. એ તમામ પણ આઇએસની વિચારધારાને અનુસરી રહ્યાં હતા. વસીમની કબૂલાતથી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
અમદાવાદ: થોડા દિવસો અગાઉ ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડ દ્ધારા ઝડપવામાં આવેલા ઇસ્લામિક સ્ટેટના આતંકીઓ વસીમ રમોડિયા અને નઇમ રમોડિયા નામના બે સગા ભાઇઓ અમદાવાદના પાંચ અને રાજકોટના ચાર એમ કુલ નવ યુવકોના સંપર્કમાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસએ વસીમ અને નઇમની ભાવનગર અને રાજકોટ ખાતેથી ધરપકડ કરી હતી.
એ.ટી.એસ.ના સિનિયર અધિકારીઓએ આ નવ શખ્સોને સુધારીને સમાજની મુખ્યધારામાં પરત લાવવા પ્રયાસ થઈ શકે છે તેવી શક્યતા પણ વ્યક્ત કરી છે. વસીમ અને નઈમના પ્લાન અને તેમના સંપર્ક વિશેની જાણકારી મેળવવા માટે અન્ય રાજ્યોની એટીએસ અને હૈદરાબાદ સીઆઇસેલની ટીમોએ પણ ગુજરાતમાં ધામા નાખ્યા છે.
મળતી વિગતો અનુસાર, વસીમ અને નઇમના સંપર્કમાં રહેલા નવ યુવકો પણ ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરાયેલા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. આ નવ યુવકો આતંકી સંગઠન માટે યુદ્ધ લડવા સતત સોશિયલ મીડિયા પર સંપર્કમાં રહેતા હતા. હાલમાં પોલીસે એ તમામ નવ યુવકોને ઝડપવા માટે તપાસ શરૂ કરી દીધી છે.