પાસના કન્વીનરનું કઈ રીતે થયું મોત? હાર્દિકે ભાજપના કયા મિનિસ્ટર સામે ચિંધી આંગળી?
ઘટનાની જાણ થતાં આજુબાજુના ગામના રહીશો દોડી ગયા હતા. બનાવમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બનાવની જાણ થતાં હાર્દિક પટેલે પણ મોડી રાતે બે વાગે ઘનશ્યામગઢ પહોંચી સમગ્ર બનાવની જાત માહિતી મેળવી હતી અને આ ઘટના અકસ્માતની નહીં પણ હત્યાની હોવાનો આક્ષેપ કર્યો હતો. નવાઈની વાત તો એ છે કે કાર ઝાડ સાથે અથડાતા આ બનાવ બન્યો હોવા છતાં હાર્દિક પટેલે હત્યાનો આક્ષેપ કર્યો છે.
અમદાવાદ: મોરબી-હળવદ રોડ પર ઘનશ્યામગઢ નજીક ગઈ કાલે રાતે સર્જાયેલા કાર અકસ્માતમાં હળવદના પાસના યુવાન કન્વીનરનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જોકે, હાર્દિક પટેલે આને રાજકીય હત્યા હોવાનો આક્ષેપ લગાવ્યો છે અને ભાજપના મંત્રી સામે આંગળી ચીંધી છે.
હાર્દિકે આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ વાળાઓએ એની હત્યા કરાવી નાખી કેમ કે, આ પંકજે ખનીજ ચોરી બંદ કરાવી હતી. ગુજરાત રાજ્યમંત્રી જયંતિ કવાડીયા અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના ગામડાઓમાં આ જ મારો ભાઈ પંકજ સભા કરતો. આ મૃત્યુ સામાન્ય નહીં હત્યા છે. ભાજપ તારો વાંક છે, પાટીદાર તારો બાપ છે અને જવાબ મળશે. પાટીદાર સમાજના શહીદ યુવાનોના પરિવારની હાય લાગશે.
પંકજ પટેલ ગઈ રાત્રે ૧૦.૩૦ વાગ્યાના સુમારે હળવદથી પોતાની વેગન આર કારમાં તેમના ગામ ઘનશ્યામગઢ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમને સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાસના કન્વીનર પંકજ પટેલનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.