લાલજી પટેલ હાર્દિક સાથે હાથ મિલાવશે, પાટીદાર અનામત આંદોલન અંગે કરી શું મહત્વની જાહેરાત
આ બેઠકમાં એવું જણાવવામાં આવ્યું હતું કે, સરકાર પાસ અને એસપીજીના આગેવાનોને વારંવાર બોલાવી બેઠકોના નાટકો કરી રહી હોય તેવું જણાય છે. આથી હવે એસપીજીના જાહેર કરાયેલા મહત્વના પાંચ મુદ્દાઓ પૈકી કયા મુદ્દાઓ પર ચર્ચા કરવા સરકાર તૈયાર કરે છે તે નિર્ણય સ્પષ્ટ કરે ત્યારે જ મંત્રણા માટે મુલાકાત થાય તેમ છે.
અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ છ મહિના સુધી ગુજરાત બહાર રહ્યા બાદ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ 17 જાન્યુઆરીના રોજ ગુજરાત પાછો ફરી રહ્યો છે. હાર્દિકના ગુજરાત આગમન પર સુરતમાં હાર્દિકના સમર્થનમાં ''આ રહા હૈ પાટીદાર કા છોરા... ચલો દંગલ ખેલને'' ના પોસ્ટર લાગ્યા હતા.
લાલજી પટેલે આગામી દિવસમાં હાર્દિક પટેલ ગુજરાતમાં આવી ગયા બાદ પાટીદાર સમાજના હિતમાં એક થઈ આંદોલનને વધુ વેગ આપવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મહેસાણાના દેદીયાસાણમાં એસ.પી.જી. દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં લાલજી પટેલ સહિત રાજયભરમાંથી એસ.પી.જી.ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી 17,જાન્યુઆરીના રોજ છ મહિના પૂર્ણ થવા જઇ રહ્યા છે ત્યારે તે ગુજરાત પાછો ફરી રહ્યો છે. પાટીદારો દ્વારા હાર્દિક પટેલને આવકારવા રતનપુર બોર્ડર પર તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ પાટીદાર આંદોલનને વધુ વેગ આપવા રાજયભરના પાટીદારોને જાગૃત કરવા સરકાર પટેલ ગ્રુપ (એસપીજી) દ્વારા સરદાર પટેલ સેવા દળ નામની ઓફીસ શરૂ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધાયો હતો. બાદમાં ગુજરાત હાઇકોર્ટે હાર્દિકને છ મહિના સુધી ગુજરાત બહાર રહેવાની શરતે જામીન આપ્યા હતા. હાર્દિક છ મહિના સુધી ઉદેયપુરમાં રહ્યો હતો.
બીજી તરફ સુરતના પૂણા વિસ્તારમાં સરદાર પાટીદાર સેવા દળની ઓફિસના ઉદ્ધાટનમાં આવેલા સરદાર પટેલ ગ્રુપના વડા લાલજી પટેલે જણાવ્યુ હતું કે, હાર્દિક પટેલના ગુજરાત આવ્યા બાદ અમે પાટીદારોના હિતમાં એક થઇને આંદોલનને ફરીથી વેગ આપીશું.