રસ્તા પરના ખાડા પુરવા બદલ જન વિકલ્પના પ્રવક્તા પાર્થેશ પટેલની કરાઇ ધરપકડ, જાણો શું લગાવી કલમ

રસ્તા પર પડેલા ખાડાઓને કારણે જનતા ખૂબ જ ત્રસ્ત બની હતી અને સરકાર સામે રોષ વ્યક્ત કરી રહી હતી. પાર્થેશ દ્ધારા ખાડાઓ પુરાવાના કામને લોકોનો પણ સપોર્ટ મળી રહ્યો હતો. તે સમયે કોઇ પણ કામ સામે તંત્રએ વાંધો ઉઠાવ્યો નહોતો. જોકે, પાર્થેશ પટેલને જન વિકલ્પના પ્રવક્તા તરીકે જાહેર કરવામાં આવતા સરકાર સફાળી જાગી હતી અને નવા મોરચાને દબાવવામાં લાગી ગઇ હતી.
ગુજરાત સરકારે જન વિકલ્પ પર દબાણ કરવા માટે પોલીસને કામે લગાડી હતી. ઘાટલોડિયા પોલીસે પાર્થેશ પટેલ સામે કલમ 188 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. આ કલમ જાહેરનામાના ભંગ બદલ લગાવવામાં આવે છે. પોલીસના કહેવા પ્રમાણે, 9 સપ્ટેમ્બરના રોજ શહેરમાં કલમ-144 લાગુ હતી અને પાર્થેશ પટેલે તેનો ભંગ કરતા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાર્થેશના કહેવા પ્રમાણે, પોલીસ પાસેથી જાહેરનામાની કોપી માંગતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું.
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે જન વિકલ્પ નામના મોરચાની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં ભારે વરસાદને કારણે અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓની હાલત ખરાબ થઇ ગઇ હતી ત્યારે જન વિકલ્પ મોરચાના પ્રવક્તા પાર્થેશ પટેલે કેટલાક યુવાનો સાથે મળીને 9 સપ્ટેમ્બરના રોજ શહેરના મેમનગર વિસ્તારમાં રસ્તા પરના ખાડા પુરવાનું કામ હાથ ધર્યું હતું.