હાર્દિકની જાહેરાતઃ પાટીદારોની આર્થિક સ્થિતિ અંગે સરકાર સર્વે ના કરે તો અમે કરીશું, મોદી પર કર્યો કેવો પ્રહાર ?
હાર્દિકે સીધી ચીમકી આપી છે કે આવતા દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવે નહિ તો હવે રોકાય એ બીજા. હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે છેલ્લા 20 વર્ષ થી સરકાર ચલાવી રહ્યા છે અને અનામત કઈ રીતે અપાય એ જનતાને પૂછે છે, ગજબ કહેવાય.
હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે સરકાર સમય પસાર કરી રહી છે અને સમાજ તોડવાનું કામ કરી રહી છે જે સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવતા. ફક્ત મીડિયામાં સારુંસારું બોલીને દેખાડો કરવામાં આવી રહ્યો છે.
આ પહેલાં હાર્દિક પટેલે ગુજરાત સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલને આખા ભારતના તમામ દસ્તાવેજો પુરાવાઓ પાટીદાર સમાજની કમિટી દ્વારા આપવામાં આવ્યા છે. આવતા 5 દિવસમાં સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે.
હાર્દિકે નરેન્દ્ર મોદી પર આડકતરો પ્રહાર કરતાં લખ્યું છે કે જો એક વ્યક્તિ દેશની જનતાની શું પરિસ્થિતિ છે એનો સર્વે એપ્લિકેશન પર કરે તો આપણે આપણા સમાજ નો સર્વે જાતે કરીશું અને સાચો સર્વે કરીશું. સમાજને ન્યાય અપાવતો સર્વે કરીશું.
હાર્દિક પટેલે સાથે સાથે હુંકાર કર્યો છે કે પાટીદાર સમાજની આર્થિક સ્થિતી અંગે સરકાર સર્વે ના કરે તો કંઈ નહીં પણ પાટીદાર સમાજ આ સર્વે કરશે. હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું છે કેપાટીદાર સમાજના યુવાનો એક જ અવાજે જવાબ આપો. સમાજનો સર્વે સરકારને જવાબ આપવા મજબૂર કરશે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને રાજ્ય સરકાર વચ્ચે પાટીદારોને અનામત આપવા સહિતના ચાર મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી ભાજપ સરકાર મેલી રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
હાર્દિકે એમ પણ લખ્યું છે કે આ સર્વે પાટીદાર આંદોલનનું ભવિષ્ય નક્કી કરશે. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં લખ્યું છે કે સર્વે આધારે સરકારની મેલી રમત ખબર પડશે. ગુજરાત કમિશન પાટીદાર સમાજ નો સર્વે ના કરે તો કઈ નહિ. અમે ખુદ જ સર્વે કરીશું.