અમદાવાદઃ બોપલમાં આનંદીબેન પર ઈંડાં ફેંકાયાં, કોણે અને કેમ આનંદીબેનને બનાવાયાં નિશાન ? ભાજપમાં શું છે ચર્ચા ?

બીજી તરફ ભાજપનુ એક જૂથ આનંદીબેન પટેલ ટિકિટની ફાળવણીમાં ભૂમિકા ન ભજવે તે માટે અત્યારથી સક્રિય થયું છે. ભાજપના નેતાઓએ આ ઘટના અંગે મૌન દાખવ્યુ હતું. સ્થાનિકો- ઉપરાંત એક ઉચ્ચ પોલીસ અધિકારીએ આ વાતને સમર્થન આપ્યુ હતું અને આનંદીબેનને નિશાન બનાવાયાં હોવાની વાતને સમર્થન આપ્યું હતું.
સૂત્રો કહે છેકે, ભાજપના આંતરિક કલહ કેટલી હદે વકર્યો છે તે આ ઘટનાએ પ્રદર્શિત કર્યું છે. આનંદીબેન પટેલને પુઃન રાજકારણમાં આવતા રોકવા આ ઘટના બની હોવાની ચર્ચાએ વેગ પકડયું છે. આનંદીબેન અત્યારે પુત્રી અનાર પટેલને ઘાટલોડિયા મત વિસ્તારમાંથી ચૂંટણી લડાવવા ઇચ્છુક છે તેમને રોકવા આ દાવ કરાયો છે.
આ ઘટના અંગે પોલીસે મૌન સેવ્યું હતું પણ આ ઘટના પાછળ કોણ છે તે જાણવા ઘટના સ્થળે પોલીસ કાફલો ઉતરી પડયો હતો. અમદાવાદ જિલ્લા પોલીસે મોડી રાત સુધી બોપલના સ્થાનિક રહીશો ,દુકાનદારોની પૂછપરછ કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા દોડધામ કરી હતી પણ અટકચાળું કરનારની ઓળખ છતી થઈ નથી.
શનિવારે સવારે સાડા દસ વાગે સાઉથ બોપલમાં સોબો સેન્ટર પાસેના એક સર્કલ ઉપરાંત યોગમુદ્રા ધનુરાસન પ્રતિમાના ઉદઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતાં તે વખત અચાનક જ કોઇકે ઇંડા ફેંક્યા હતાં . આ ઘટનાને પગલે હાજર મહાનુભાવો પણ ચોંકી ઉઠયા હતાં.
અમદાવાદ જિલ્લા પોલીસે મોડી રાત સુધી ઇંડા ફેકનારને શોધવા મથામણ કરી હતી પણ ઈંડાં ફેકનારાની ઓળખ છતી થઈ નથી. બીજી તરફ ભાજપનાં સૂત્રોનો દાવો છે કે વિધાનસભાની ચૂંટણીમાં આનંદીબેનને સક્રિય થતાં રોકવા આ દાવ કરાયો છે અને ભાજપના જ નેતાનો તેમાં હાથ છે. આ ઘટના ભાજપના આંતરિક કલહનું પરિણામ છે.
અમદાવાદઃ ભાજપના મંત્રી-નેતાઓ સામે લોકોનો આક્રોશ શમ્યો નથી તેનો પુરાવો આપતી ઘટનામાં શનિવારે અમદાવાદના સાઉથ બોપલમાં એક કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર ઇંડા ફેકાયા હતાં જેના લીધે દોડધામ મચી ગઇ હતી. બગડેલાં આનંદીબેને જાહેરમાં ગુસ્સો ઠાલવી ઈંડાં ફેકનારને શોધવના ફરમાન કર્યું હતું.