રવિવારે PM મોદી ફરી ગુજરાતના આંગણે, ડ્રીમ પ્રોજેક્ટ ઘોઘા-દહેજ સર્વિસનું કરાશે લોકાર્પણ
ભાવનગર: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું સડક માર્ગનું ભારણ ઘટાડનાર અને ભાવનગર જિલ્લાના વિકાસની નવી ક્ષિતીજો ખોલનાર ઘોઘા-દહેજ ફેરી સર્વિસનું રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ ઘોઘા ખાતેથી કરવામાં આવશે, અને પ્રથમ પેસેન્જર ફેરી બોટમાં નરેન્દ્ર મોદી ઘોઘાથી દહેજની મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટમાં હાલ પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવનાર છે.
ફેરી સર્વિસના લોકાર્પણની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરમાં 10 સર્કલોમાં ભવ્ય આતશબાજી કરવામાં આવશે. રૂપાણી સર્કલમાં 21મીએ રાત્રે 8 વાગે શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા રૂપાણી સર્કલમાં ભવ્ય આતશબાજી કરવામાં આવશે. ઉપરાંત ગામ તળાવમાં અને વિવિધ સર્કલોમાં ઉજવણી કરવામાં આવશે.
ઘોઘા-દહેજ ફેરી સર્વિસ ચલાવવા માટેના કોન્ટ્રાક્ટર સૌરાષ્ટ્ર અેનવાયરોમેન્ટ પ્રા. લિ.,ને આપવામાં આવ્યો છે. શરૂઆતના તબક્કામાં મુસાફર ભાડુ 600 રાખવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે, અને બાદમાં ભાવનગરથી પીક-અપ પોઇન્ટ, બૂકિંગ, ઓનલાઇન બૂકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઘોઘા ખાતેનું ટર્મિનલ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ સરકારની ઘોઘાથી મુંબઇ, ઘોઘાથી હજીરા (સુરત) વચ્ચે પણ ફેરી સર્વિસ ચલાવવાની યોજનાઓ છે. મરિન એન્જીનિયરિંગની દ્રષ્ટિએ વિકટ ગણાતા ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે ગુજરાત મેરિટાઇમ બોર્ડના તમામ અધિકારીઓ, કર્મચારીઓ દિવસ રાત એક કરી રહ્યા હતા.
ડિસેમ્બરમાં ઘોઘા ખાતેનો લિન્ક સ્પાન લાગી ગયા બાદ પૂર્ણત: રો-રો ફેરી સર્વિસ શરૂ થશે, જેમાં 150 મોટા વાહનો અને 1000 મુસાફરોની સમાવેશ કરવામાં આવશે. ભાવનગરથી દહેજ વચ્ચેનું સડક માર્ગનું અંતર 310 કિ.મી. છે, જે ઘોઘા-દહેજ વચ્ચે દરિયાઇ માર્ગે ફક્ત 31 કિ.મી.નું થઇ જશે, આમ સમયની બચત પણ થશે અને કિંમતી ઇંધણની પણ બચત થશે, સાથોસાથ માર્ગ અકસ્માતોમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.