રોડના રીસરફેસિંગમાં વેઠ ઉતારાય છેઃ ભાજપના જ ટોચના નેતાના આક્ષેપથી ખળભળાટ

મ્યુનિ.હેલ્થ ખાતાએ મોડી રાતે દોડધામ કરી એસ.જી.હાઇવે ઉપર ચાલતાં શંભુ કોફી બારને સીલ મારવા જેવી કાર્યવાહી કરી તેનો મુદ્દો ઉઠાવતાં ગૌતમભાઇ પટેલે આખા શહેરમાં રાતનાં સમયે ખાણીપીણીનો ધંધો ધમધોકાર ચાલે છે ત્યાં પણ આવી કાર્યવાહી કરો કે કેમ તેવો સવાલ કરતાં હેલ્થ અધિકારી એક તબક્કે મુંઝાઇ ગયા હતા, પછી તમે કહેજોને અમે કાર્યવાહી કરાવીશું તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો. ભાવનાબેન પંડ્યાએ પણ તેમાં સુર પુરાવતાં કહ્યું કે, હેલ્થ ખાતાવાળા રાત્રે જતાં હોય તો અમે પણ ફરિયાદ કરીએ. અન્ય મહિલા સભ્ય પુષ્પાબેન મિસ્ત્રીએ ગરીબ આવાસ યોજનાઓમાં યોગ્ય દેખરેખનાં અભાવે અસામાજિક તત્વો દુરુપયોગ કરતાં હોવાનું અને લોકોને છેતરી ભાડે મકાન પધરાવી દેતાં હોવાની રજૂઆત કરી હતી.
ખારીકટ કેનાલમાં હજુ કેમિકલયુક્ત રંગીન પાણી છોડાતું હોવાના મામલે સ્ટે.ચેરમેન પ્રવીણભાઇ પટેલે જીપીસીબીની ટીમને સાથે રાખી તપાસ કરવા અને જે કોઇ ફેક્ટરીમાંથી ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાતું હોય તો તેને સીલ મારી દેવા જણાવી દીધું હતું. એક સભ્યની રજૂઆતને પગલે પુરાતત્વ ખાતા સાથે સંકલન કરી કાલુપુર રેલવે સ્ટેશનને જોડતો ફૂટઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવાની સૂચના પણ આપવામાં આવી હતી.
સભ્યની રજૂઆતને સમર્થન આપતાં સ્ટે.ચેરમેને પણ દિવાળી ટાણે અમદાવાદમાં પાણી-ગટરની સમસ્યા સર્જાવી જોઇએ નહીં તેમ જણાવ્યું હતું. બેઠકમાં મેઘાણીનગર હાઉસિંગમાં પાણીનો કકળાટ અને લોકોએ કરેલી તોડફોડનો મુદ્દો ઊઠાવ્યો હતો, તેનાં જવાબમાં અધિકારીઓએ એવું કહ્યું કે, હાઉસિંગનાં ત્રણ-ચાર બ્લોકમાં લોકોએ ગેરકાયદે મોટી લાઇનો નાખી જોડાણો કરી દીધા હોવાથી પાછળનાં બ્લોકમાં પાણી પ્રેશરથી પહોંચતું નથી. આ સાંભળી ચેરમેને તેવા ગેરકાયદે જોડાણો કાપી નાખવાની સૂચના આપી હતી.
સ્ટે.કમિટીની બેઠકમાં મહિલા સભ્ય ભાવનાબેન પંડ્યાએ નારાજગી સાથે એવી રજૂઆત કરી હતી કે, મેમનગરમાં હજુ પણ પાણીની સમસ્યા ઠેરની ઠેર જ છે, અગાઉની સ્ટે.કમિટીમા અને ઝોનની વોર્ડ બેઠકમાં પણ રજૂઆત કરવા છતાં કોઇ નક્કર કાર્યવાહી થઇ નથી. તેમની નારાજગી સમજી કમિશનરે જાસપુરથી આવતાં પાણીનાં પ્રેશરમાં વધારો કરવા વાલ્વ વધારે ખોલવામાં આવશે તેમ જણાવ્યું હતું.
અમદાવાદ: ચોમાસા દરમિયાન ધોવાઇ ગયેલા અને તૂટી ગયેલા રોડ ડિફેક્ટ લાયેબિલિટીના ભાગરૂપે રિસરફેસ થઇ રહ્યા છે, તેમાં વેઠ વાળવામાં આવતી હોય તેમ લાગે છે તેવી ટકોર સ્ટેન્ટિંગ કમિટીમાં થતાં અધિકારીઓની બોલતી બંધ થઇ ગઇ હતી. સ્ટે.કમિટીની બેઠક બાદ ચેરમેન પ્રવીણભાઇ પટેલે જણાવ્યું હતું કે, રોડ રિસરફેસની કામગીરીની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સભ્યોની અને કોર્પોરેટરોની ફરિયાદોને જોતાં એવું લાગી રહ્યું છે કે, ગેરંટી-વોરંટી વાળા રોડ રિસરફેસ કરવામાં કોન્ટ્રાક્ટરો વેઠ જ વાળી રહ્યા છે. ફૂટપાથ સાઇડના 3-4 ફૂટ રસ્તા રિસરફેસ કર્યાં વગર છોડી દેવાય છે તે ચલાવી લેવાશે નહીં અને પૂરેપૂરી લંબાઇ-પહોળાઇના રોડ ઝડપથી રિસરફેસ કરાવવા તંત્રને તાકીદ કરવામાં આવી છે.