રાહુલ ગાંધી 24-25 નવેમ્બરે ફરી ગુજરાતમાં , જાણો શું છે કાર્યક્રમ અને ક્યાં કયાં જશે ?
આ મુલાકાત બાદ રાહુલ સાણંદના નાની દેવલી ગામે દલિત શક્તિ કેન્દ્રની મુલાકાત લેવાના છે. અમદાવાદમાં રોડ શો યોજવામાં આવે તેવી શક્યતા છે. રાહુલના ભરચક કાર્યક્રમોમાં ડોક્ટરો અને પ્રોફેસરો સાથે સંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરાઈ રહ્યું છે. તદુપરાંત નિકોલ ખાતે રાહુલ ગાંધી જાહેર સભાને સંબોધન કરે તે માટેની પણ તડામાર તૈયારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ રાહુલ ગાંધીએ ગુજરાતના ચારેય ઝોનમાં નવસર્જન યાત્રાનો દોર પૂરો કર્યો હતો.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૪મી ઉપરાંત ૨૫મી નવેમ્બરે પણ ગુજરાત મુલાકાતે રહેશે. ૨૫મી નવેમ્બરે રાહુલ ગાંધી નવસર્જન યાત્રાના ભાગરૂપે અરવલ્લી અને સાબરકાંઠાની કેટલીક વિધાનસભા બેઠકોની મુલાકાત લેશે. અગાઉ ચાર તબક્કામાં યાત્રા કરી ત્યારે અરવલ્લી-સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં મુલાકાત બાકી રહી હતી. જ્યારે ૨૪મીએ અમદાવાદ, પોરબંદર, સાણંદની મુલાકાત લેશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ૨૪મીની સાથે ૨૫મીનો એક દિવસનો પ્રવાસ લંબાવશે. પોરબંદરમાં પ્રદેશ નેતા અર્જુન મોઢવાડિયાને ટિકિટ અપાઈ છે, છેલ્લે મોઢવાડિયા ચૂંટણી હારી ગયા હતા, જોકે રાહુલની મુલાકાતથી માહોલ સારો બને તે માટે આ પ્રદેશ નેતાએ રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે રાહુલ ગાંધી ૨૪મીએ પોરબંદરની મુલાકાત લેશે, રાહુલ ૨૪મીએ સવારે પોરબંદર ખાતે માછીમાર સમુદાય સાથે વાર્તાલાપ કરશે, તેમની સમસ્યાઓ સાંભળશે.