ગુજરાતના પોલીસ સ્ટેશનો -સરકારી કચેરીઓ બની સાયબર હુમલાનો ભોગ, જાણો ક્યાં થઇ અસર

રાજકોટમાં કલેક્ટર ઓફિસના પૂરવઠા વિભાગનું એક કોમ્પ્યુટર અને એક અપીલ શાખાનું કોમ્પ્યુટર પણ આ વાઈરસનો ભોગ બન્યાં હોવાનું સામે આવ્યું છે. વિન્ડો 8 અને વિન્ડો 10 ઉપર આ વાઈરસની અસર નહીંવત રહેવા પામી છે.
રાજકોટ સાયબર ક્રાઈમ વિભાગના પીઆઈ એમ એમ ઝાલાએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાકમાં સમગ્ર ગુજરાતમાં સરકારી ઓફિસોમાં કાર્યરત જીસ્વાન નેટવર્ક પણ બંધ રહે તેવી શક્યતા છે. ગુજરાત પોલીસની સાઇટ્સ પર પણ સાઈબર અટેક થયાના સમાચાર મળ્યા છે. ખાસ કરીને નવસારી,બરોડા પોલીસ સ્ટેશનમાં તેમજ પોરબંદર પોલીસનું પણ એક કોમ્પ્યુટર સાયબર અટેકનો ભોગ બની ચૂક્યું છે.
અમદાવાદ કમિશનર ઓફિસના પીઆરઓ વિભાગની સિસ્ટમ બે દિવસ માટે બંધ કરાઇ છે. ગુજરાતમાં હુમલાનો ભોગ પોરબંદર પોલીસનું એક કમ્પ્યુટર બન્યું હોવાનો કેસ સામે આવ્યો છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આજે સવારથી તમામ સરકારી કચેરીમાં કોમ્પ્યુટરો હાલ પુરતાં બંધ રાખવામાં આવ્યાં છે. સાયબર ક્રાઈમે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. સાયબર ક્રાઈમ દ્વારા જાહેર કરાયેલાં નંબર 079-22861917 અને 079-25398549 પર નાગરિકો મદદ અને માર્ગદર્શન મેળવી શકશે.
રેનસમવેર વાયરસને કારણે વડોદરા કલેકટર કચેરીના 25 કોમ્પ્યુટર વાયરસને કારણે ડેમેજ થયા છે. આ કોમ્પ્યુટર્સને માઇક્રોસોફ્ટના એન્ટી વાયરસ દ્ધારા સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ સાયબર હુમલાની અસર અમદાવાદ પોલીસને પણ થઇ છે. કમિશનર ઓફિસની પાંચ સિસ્ટમ સહિત શહેરના કેટલાક પોલીસ સ્ટેશનના કોમ્પ્યુટર્સમાં પણ અસર થઇ છે.
યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલના જણાવ્યા મુજબ 2.27 લાખથી વધુ કમ્પ્યુટર્સ લોક થઈ ગયા છે. એક્સ્પર્ટ્સ હજી પહેલાં વર્ઝનનો તોડ શોધી શક્યા નથી. ત્યાં, આજે બીજા હુમલાનું જોખમ છે. આ હુમલાની અસર ગુજરાતમાં પણ થઈ છે.
અમદાવાદઃ દુનિયાભરમાં 100થી વધુ દેશોમાં થયેલા ‘રેન્સમવેર અટેક’થી વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો છે. આ સાયબર હુમલાને અત્યાર સુધીનો સૌથી મોટો રેન્સમવેર અટેક માનવામાં આવે છે. આ સાયબર હુમલાની અસર ગુજરાતમાં પણ થઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે ‘શૈડો બ્રોકર્સ’નામથી કામ કરનારા હેકર્સ એક ફાઇલ પાછા આપવાના 30 ડોલર બિટકોઇન માંગી રહ્યા છે. હેકર્સ સાયબર હુમલા મારફતે સિસ્ટમનો પાસવર્ડ લોક કરી દે છે.